અત્યારના સમયમાં પરંપરાગત ખેતીમાં ખેડૂતોએ આવક ઓછી અને મહેનત વધુની સ્થિતિનો સામનો કરવો પડે છે. આવા ખેડૂતોને આત્મા પરિયોજના દ્વારા આધુનિક ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈજ્ઞાનિક ઉપાયોથી ખેતી કરવા માટે પ્રેરિત કરાય છે. ડ્રિપ સિંચાઈ (ટપક સિંચાઈ), મલ્ચિંગ અને સુધારેલ બીજ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને હવે ઓછા ખર્ચમાં વધુ નફો મળી રહ્યો છે.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ખેડૂત કૈલાશ પવાર એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. સરકારી મદદ અને ટેક્નોલોજી માર્ગદર્શનથી તેમણે પોતાની પથરાળ જમીનને ઉપજાઉ બનાવી દીધી અને કરોડોનો નફો રળી રહ્યા છે. બદલાવની શરૂઆત પહેલા કૈલાશ પવાર જે પહેલા પોતાની 16.99 હેક્ટર જીમન પર પરંપરાગત પાક ઉગાડતા હતા, ઓછું ઉત્પાદન અને વધતા ખર્ચા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. મધ્ય પ્રદેશ કૃષિ વિભાગના અધિકારીઓ પાસેથી આત્મા પરિયોજના હેઠળ તાલિમ દરમિયાન તેમને પોતાની સમસ્યાઓનું સમાધાન મળ્યું. અધિકારીોએ તેમને ઈનોવેશન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેતી કરવાની સલાહ આપી.
70 દિવસમાં પાક તૈયાર
કૈલાશે પોતાની જમીનના 5-6 એકર પર સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી. તેમણે લગભગ 1,30,000 છોડ લગાવ્યા, જેનો પાક 70 દિવસની અંદર તૈયાર થઈ ગયો. સ્ટ્રોબેરીને ચૂંટવાનું કામ માર્ચના અંત સુધી ચાલે છે અને તેનો સપ્લાય જબલપુર, નાગપુર, ઈન્દોર અને ભોપાલ જેવા મોટા શહેરોમાં થાય છે. પહેલા પથરાળ જમીનના કારણે તેમનું ટર્નઓવર 80 લાખ રૂપિયા હતું જેમાં નેટ નફો 30 લાખ રૂપિયા થતો હતો. પરંતુ હવે સ્ટ્રોબેરી અને શાકભાજીના ઉત્પાદનથી તેમનું ટર્નઓવર 2થી 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું અને નેટ નફા તરીકે તેમને એક કરોડ જેટલા મળી રહ્યા છે. કૈલાશ પવાર કહે છે કે સરકારની યોજનાઓ અને કૃષિ વિભાગના માર્ગદર્શનથી અમને ખેતીના જોખમો ઓછા કરવામાં મદદ મળી અને આ સાથે અમારી કમાણીને અનેક ગણી વધારવાની તક પણ મળી.
ટેક્નોલોજીની મદદ
ખેડૂત કૈલાશે ડ્રિપ સિંચાઈ અને મલ્ચિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રોબેરી, લસણ, ટામેટા, સિમલા મર્ચા, અને રિંગણ જેવા પાકની ખેતી શરૂ કરી. કૃષિ વિભાગના અધિકારીઓ સમયાંતરે તેમના ખેતરોનું નિરીક્ષણ કરે છે અને તેમને દરેક પગલે માર્ગદર્શન પણ આપ્યું. આ ટેક્નોલોજીની મદદે તેમની ખેતીને જોખમ મુક્ત અને ફાયદાકારક બનાવી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે