loan for farmers : એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી છે.
ખેડૂતોને કેટલી લોન મળશે
ખેડૂતોને વધુ ફાયદો થાય તેવો અમારો હેતુ
સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું હતું કે અમારી બેંક દ્વારા ખેડૂતોને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને ત્રણ વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે એકરદીઠ 10,000 રૂપિયા અને વધુમાં વધુ પાંચ એકર માટે 50,000 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોન લેનાર ખેડૂત 3 હપતામાં રકમ ચૂકવી શકશે. અંદાજે બેંક સાથે જોડાયેલા 25,000 કરતાં પણ વધુ ખેડૂતોને આનો સીધો લાભ મળવાનો છે. બેંક દ્વારા 200 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. સહકારી માળખા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય એને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. આગામી દિવસોમાં ખેડૂતોને આર્થિક રીતે આ સહાય ખૂબ જ મદદરૂપ થશે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષમાં ગુજરાતના અનેક ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ...આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે નિર્ણય કર્યો છે. આમ, સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ આ જાહેરાતનો લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે