જયેશ દોશી/રાજપીપળા :આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે નર્મદામાં આજે પાણી મુદ્દે આંદોલનની શરૂઆત થઇ છે છે. પાણી વિતરણ વ્યવસ્થા મુદ્દે આજે 13 મે સુધી સમગ્ર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો અમે મુખ્ય કેનાલના ગેટ બંધ કરી બહાર જતા પાણીને અટકાવીશું એવી ચીમકી ધારાસભ્ય મહેશ વસાવા અને બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી)ના કાર્યકરોએ આપી હતી. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ આજે નર્મદા જિલ્લામાં ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યકરો અને ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા નર્મદા બંધ સુધી પહોંચે તે પહેલા જ રાજપીપળાના જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર પાસે ધારાસભ્ય મહેશ વસાવા અને તેમના 1000 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયત સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, છતાં પોલીસે મક્કમપણે આ તમામની અટકાયત કરી આ આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે મહેશ વસાવાનું કહેવું છે કે અમારું આંદોલન ચાલુ જ રહેશે.
બીટીપી કાર્યકર્તાઓની અટકાયત થતાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા છંછેડાયા હતા અને તેઓએ અટકાયતના પગલે આગામી ૩૧ મે સુધીમાં જો સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ રેલવે અને ગુજરાતના તમામ માર્ગને બંધ કરી જે ગુજરાતની મુખ્ય જગ્યાઓ છે, એ તમામ જગ્યાઓને બંધ કરવામાં આવશે. ગુજરાત સરકાર સમજી જાય અને ૩૧મી સુધીમાં પાણીનો પ્રશ્ન હલ કરે તેવી તેઓએ માંગ કરી હતી.
રણની જેમ સૂકીભઠ્ઠ થઈ રહેલી મહીસાગરને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા
આજે અટકાયત કરાયેલા કેટલાકને રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ ક્વાર્ટરમાં તથા કેટલાકને કેવડિયા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. આ અંગે ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું કે, લગભગ 500થી હજાર જેટલા આંદોલનકારીઓ કે જેઓ નર્મદા નહેરની જે મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જતા હતા તે માટે તેઓની અટકાયત કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે