નવનીત દલવાડી/ભાવનગર :વાહનો લઈને નીકળતા ગુજરાતના ડ્રાઈવરો કેટલા બેફામ બન્યા છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ડ્રાઈવર તથા શાળાની બેદરકારીને કારણે ભાવનગરમાં એક માસુમ બાળાનું મોત નિપજ્યું છે. ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની ખીચોખીચ ભરેલી સ્કૂલ બસમાંથી પટકાઈને 14 વર્ષની બાળાનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની બસ વિવિધ ગામોમાં ફરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહોંચાડતી હોય છે. ત્યારે આ બસમાં વિદ્યાર્થીઓ એટલા ઠસોઠસ ભરેલા હોય છે, માસુમોને બેસવા માટે તો શું, ઉભા રહેવા પણ જગ્યા હોતી નથી. ત્યારે બસની પગથિયે ઉભેલી 14 વર્ષની તુલસી ચૌહાણ નામની વિદ્યાર્થીની બસમાંથી નીચે ફેંકાઈ હતી. તો સામે શાળાના બસનો ડ્રાઈવર બસ ફુલ હોવા છતા પણ બેફામ રીતે વાહન ચલાવતો હતો. આવામાં બસમાં જગ્યા ન હોવાથી તુલસી ચૌહાણ બસમાંથી બહાર ફેંકાઈ હતી. આ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
બાળકીના મોતના પગલે તેના પરિવારજનોમાં સ્કૂલ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારે શાળાની બસ ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે. પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો આ મામલે પરિવાર તથા ગામના લોકોએ પોલીસ સ્ટેશન પર ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે