અતુલ તિવારી/અમદાવાદ: સાણંદના ઝોલાપુર ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા(Primary School)માં ફરજ બજાવતી 16 શિક્ષકો(Teacher)ને હેરાન કરવામાં આવતા ન્યાયની માગ સાથે છેલ્લા એક અઠવાડીયાથી કામનો બહિષ્કાર કર્યો છે. શિક્ષિકાઓનો આરોપ છે કે, શાળાના આચાર્ય રાકેશ પટેલ અને તેમના કહેવાથી ગ્રામજનોએ 15 મહિલા શિક્ષિકા અને 1 શિક્ષકને છેલ્લા કેટલાક સમયથી માનસીક ત્રાસ(Mental Torture) આપી રહ્યા હતા. જે અંગે તેમણે DPOમાં ફરિયાદ કરી હતી. પરંતુ ન્યાય ન મળતા તેઓ કામથી અળગી રહી અને ડીપીઓ કચેરી ખાતે ધામા નાખ્યા છે.
રાજ્ય સરકાર એક તરફ સ્ત્રી શસક્તિકરણની વાતો કરે છે, તો બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં મહિલા શિક્ષિકાઓ ખુદ જ ગામના અસામાજિક તત્વોથી પોતે સુરક્ષિતના હોવાનું કહી રહી છે. શાળાના આચાર્ય રાકેશના ઇશારે શિક્ષિકાઓને હેરાન કરાય છે. અને તેમની છેડતી થાય છે જે અંગે શિક્ષિકાઓના પ્રતિનિધી મંડળ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન પાસે રજૂઆત પણ કરાઈ છે. પરંતુ શિક્ષિકાઓએ આ મુદ્દે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી શાળાના આચાર્ય કે, ગામના કેટલાક માથાભારે લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
આ ઘટનાથી શિક્ષિકાઓ શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી DPOની કચેરીએ છેલ્લા અઠવાડિયાથી ધરણા પર બેઠી છે. આ મામલે ઝી 24 કલાક સાથે વાત કરતા શિક્ષિકા રમીલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, આચાર્ય રાકેશભાઈ ગામના લોકોને ઉશ્કેરીને અમારી ઉપર હુમલો કરાવે છે અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. શિક્ષિકાઓ ઉપર ગામના અમુક લોકો આવીને સામુહિક હુમલો કર્યો હતો. અને ગામના માથાભારે માણસ સામજીભાઈએ લાત મારીને પાડી દીધી હતી. તેમજ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય રાકેશ સામે 2016માં પણ ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ તેમની બદલી કરાઈ હતી. ત્યારબાદથી અત્યાર સુધી આ શિક્ષિકાઓ કેટલાક સ્થાનિકોના ભય વચ્ચે પોતાની ફરજ બજાવી રહી હતી. પરંતુ 9 સપ્ટેમ્બરે શિક્ષિકાઓ પર થયેલા હુમલા બાદથી ન્યાય માટે 11 સપ્ટેમ્બરથી આ શિક્ષિકાઓ બેઠી છે. પરંતુ ન્યાય અથવા સુરક્ષા આપવાના બદલે હવે DPO તરફથી શિક્ષિકાઓને શાળામાં હાજર થવાનું કહી દેવાયું છે. જો હાજર નહીં થાય તો પગાર કાપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે તમામ શિક્ષિકાઓની એક જ માગ છે કે તેઓ ફરજ પર જશે પરંતુ અન્ય કોઈ શાળામાં તેમની બદલી કરી દેવામાં આવે. પોતાના જીવના જોખમે આ શિક્ષિકાઓ પરત તે જ શાળામાં હાજર થવા તૈયાર નથી. આ મામલે જ્યારે DPEO કે ચેરમેન સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો બંને ગેરહાજર મળ્યા હતા.
સ્ત્રી શસક્તિકરણની વાતો વચ્ચે સરકારી વિભાગમાં જ કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી, ન્યાયની માગ કરી રહી છે ત્યારે હજુ સુધી કોઈ પણ જાતની તપાસ કે જરૂરી પગલા પણ DPO કે ચેરમેન તરફથી લેવાયા નથી એવામાં આ મહિલાઓને ફરજીયાત શાળામાં હાજર થવાનું ખી દેવાયું છે. ત્યારે સવાલ એ થાય છે કે, કેમ અસામાજિક તત્વો સામે તંત્ર કાર્યવાહી કરતું નથી, કેમ આચાર્યની પૂછપરછ કરાતી નથી. કોઈ નક્કર કાર્યવાહી વિના જ કેમ 16 શિક્ષિકાઓની વાત પર તંત્ર તપાસ કરતું નથી ?
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે