Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad plane crash: દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી, FSL ટીમની શાનદાર કામગીરી

ગુજરાતમાં 12 જૂને ભયાનક પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મૃત્યુ થયા હતા. પ્લેન દુર્ઘટનામાં લોકોના મૃતદેહો એ હદે બળી ગયા કે તેની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં એફએસએલ ટીમ દ્વારા સતત 24 કલાક ખડેપગે રહી આ કામગીરી કરવામાં આવી રહી છે.

  Ahmedabad plane crash: દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી, FSL ટીમની શાનદાર કામગીરી

ગાંધીનગરઃ ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્યપથ પર અડગ હતી – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ. FSLની ટીમે સંવેદના અને વિજ્ઞાનના સંગમનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. આ દુર્ઘટના સમયે ઘટનાસ્થળ પર ચારેબાજુ વિમાનના કાટમાળ વચ્ચેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો.

fallbacks

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી માત્ર ગણતરીની ક્ષણોમાં જ FSLની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ ઘટનાની ભયાવહતા સમજાઈ ગઈ હતી. મૃતદેહો અને માનવ અવશેષોને રાહત-બચાવ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા. આવા કપરા સમયે FSLની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ, માનવ અવશેષોમાંથી DNA પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

આ સંદર્ભે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ  એચ. પી. સંઘવીએ કહ્યું હતું કે, આ દુર્ઘટના FSL માટે માત્ર એક "કેસ" નહિ, પરંતુ અસંખ્ય પરિવારોની આશા અને સંવેદનાનો વિષય હતો. એટલા માટે જ, મૃતકોની DNA પ્રોફાઈલીંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ FSL ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ સાધારણ શરૂઆતથી શિખર સુધીની સફર, જાણો કયા સમયે કયા પદ પર રહ્યાં વિજય રૂપાણી

ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા DNA સેમ્પલનું પરીક્ષણ જટીલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક FSL-ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે, મૃતકોના સગા-સંબંધીઓના DNA સેમ્પલ એકત્ર કરવાથી લઈને DNA પ્રોફાઈલીંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી હતી. આ બંને જગ્યાએ મળીને કુલ ૫૪ DNA નિષ્ણાતોની ટીમ દ્વારા દિવસ-રાત મૃતકો તેમજ તેમના સગા-સંબંધીઓના DNA પ્રોફાઈલીંગ-મેચિંગ માટેના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

FSLની મુલાકાત લઈને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ પણ DNA પરીક્ષણ કામગીરીની સતત સમીક્ષા કરીને FSLની ટીમને પ્રોત્સાહિત કરી હતી. FSL ટીમના નિષ્ણાતોની ફરજનિષ્ઠા અને ફરજ પ્રત્યેના સમર્પણને પણ હર્ષ સંઘવીએ બિરદાવ્યું હતું. 

વધુમાં જણાવ્યા મુજબ FSLના યુવાન અને ઉત્સાહી વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને સહાયકોની ટીમ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઊંઘ, આરામ અને પરિવારને ભૂલીને દિવસ રાત જોયા વગર DNA પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. FSLના ૫૪ DNA નિષ્ણાતો પૈકી ૨૨ નિષ્ણાત મહિલાઓ છે. જેમાંથી ઘણી મહિલાઓ પોતાના ત્રણ વર્ષ કરતા પણ નાના બાળકની સારસંભાળની જવાબદારી હોવા છતાં લેબમાં છેલ્લા ચાર  દિવસથી મૃતકોને ઓળખ આપવાની કામગીરી કરી રહી છે.

આવું જ એક ઉદાહરણ એક DNA નિષ્ણાતનું છે, જેમની માતાનું હૃદય માત્ર ૨૦ ટકા જ કાર્ય કરી રહ્યું હોવાથી તેમની તાત્કાલિક સર્જરી થવાની હતી. છતાં પણ આ અંગત મુશ્કેલીઓને બાજુમાં મૂકીને આ DNA નિષ્ણાતે મૃતકોના DNA પરીક્ષણની કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દાખવી છે. FSL ખાતે દિવસ રાત કામ કરી રહેલી આ નિષ્ણાતોની ટીમ નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બર્માથી ગુજરાતની સત્તા સુધી! કઈ રીતે એક વેપારીના પુત્રએ સંભાળી ગુજરાતની કમાન

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતની FSL ટીમે મૃતકની ઝડપથી ઓળખ કરવાની કામગીરીને પ્લાનિંગ સાથે તેજ બનાવી હતી, જેના પરિણામે સ્વરૂપે FSLની ટીમને ૭૨ કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે. બે દાયકા પહેલાના સમયમાં DNA પરીક્ષણથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં લગભગ ૫ થી ૧૦ દિવસ જેટલો સમય લાગતો હતો. જેની સામે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ અદ્યતન FSL લેબ, DNA કામગીરી માટેની અદ્યતન મશીનરી અને નિષ્ણાતોની સક્ષમ ટીમના પરિણામે લગભગ ૭૨ કલાકમાં જ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી રહી છે. 

અતિ જટીલ અને સંવેદનશીલ કામગીરીના અંતે FSLની ટીમે અત્યાર સુધીમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના અનેક મૃતદેહોની ઓળખ કરવામાં અકલ્પનીય સફળતા મેળવી છે. FSLની ટીમના અથાગ પ્રયાસોને કારણે, શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી મળી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં FSL ટીમનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. તેમણે માત્ર વૈજ્ઞાનિક પુરાવા જ નહીં, પરંતુ માનવીય સંવેદનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. FSLની આ અદ્રશ્ય મહેનત અને અડગ સમર્પણ, એક ભયાનક દુર્ઘટનાના ઘા રૂઝાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More