સુરેન્દ્રનગર : સુરેન્દ્ર નગરના ચોટીલાના સાગાણી પાસે ગઈકાલે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકોના જીવ હોમાયા હતા. વઢવાણના આ પરિવારોની આજે એકસાથે 6 લોકોની અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું.
ચોટીલાના સાગાણી નજીક હાઈવે ઉપર એક કાર પસાર થઈ રહ્યો હતો. તેની બાજુમાંથી જ એક કાર પસાર થઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલના કારણે ટ્રક પલટી મારી ગયો હતો. પલટી મારેલો ટ્રક બાજુમાંથી પસાર થઈ રહેલી કાર ઉપર પડ્યો હતો. ટ્રક સફેદ બોરીઓથી ભરેલો હતો, જેના કારણે કારનો ભુક્કો બોલાઈ ગયો હતો અને કારમાં બેસેલ તમામ લોકો કચડાઈ ગયા હતા. કારમાં એક જ પરિવાર મુસાફરી કરતો હતો અને કારમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે હાજર લોકોના શરીરમાં કંપારી છુટી ગઈ હતી. ટ્રક નીચે દબાઈ ગયેલી કાર બહાર કાઢવા માટે ક્રેન બોલાવીને ટ્રકનો ઊભો કરવો પડ્યો હતો. કારમાં દબાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પણ લોકોને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. કેટલાક મૃતદેહો તો ગાડીની સાથે સપાટ થઈ ગયા હતા.
આજે વઢવાણના આ પરિવારના 6 લોકોની એકસાથે અર્થી ઉઠી હતી. પતિ, પત્ની, માતા, બાળકો સહિતને વઢવાણ સ્મશાનમાં મુખાગ્નિ અપાયો હતો. જેને કારણે આખું ગામ એકઠું થયું હતું. પરિવારના લોકોએ ભારે હૃદયે 6 જણને અંતિમ વિદાય આપી હતી. ગામમાં મોટી સંખ્યામાં લોકો સમશાન યાત્રા જોડાયા હતા. આખો પરિવાર વેકેશન કરીને પરત ફરી રહ્યો હતો.
આ અકસ્માતમાં નીરજભાઈ રસિકભાઈ ગોહીલ (40 વર્ષ), દીનાબેન નીરજભાઈ ગોહીલ (40 વર્ષ), ધીરજબેન રસિકભાઈ ગોહીલ (65 વર્ષ), નીધિ નીરજભાઈ ગોહીલ (13 વર્ષ), આયુષી નીરજભાઈ ગોહીલ (7 વર્ષ) અને શિવાંગ નીરજભાઈ ગોહીલ (6 વર્ષ)ના મોત નિપજ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે