Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના, 91 લોકોના મોત, 100થી વધુ ઘાયલ, હજું વધી શકે છે મૃત્યુઆંક

આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હોવાની માહિતી મળી રહી છે. 

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના, 91 લોકોના મોત, 100થી વધુ ઘાયલ, હજું વધી શકે છે મૃત્યુઆંક

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. હજુ મૃત્યુંઆંક વધી શકે છે. આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે.

fallbacks

તમને જણાવી દઈએ કે સમારકામના 5 દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. ચાર દિવસમાં જ 12000 લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે.

મોરબી દુર્ઘટનાના પગલે ભાજપનું 1 નવેમ્બરનું સ્નેહમિલન મોકૂફ કરવામાં આવ્યું છે. પીએમ મોદી મહાત્મા મંદિરથી સંબોધન કરવાના હતા. તમામ 182 વિધાનસભા બેઠકો પર સંમેલન થવાનું હતું.આવતીકાલે પ્રધાનમંત્રી મોદી મોરબીની મુલાકાત લે તેવી શક્યતા છે. અત્યારે પીએમ મોદી ગુજરાતમાં જ છે. મોરબી નજીકના તમામ મંત્રીને મોરબી પહોંચવા આદેશ કરાયો છે. કેવડિયામાં આજે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે. કાલે પીએમ મોરબી જઈ મૃતકોના પરિવારને મળી શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જુઓ વીડિયો

 

મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ  સભ્યોની કમિટી

  • 1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • 2. કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • 3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • ૪. સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
  • ૫.સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.

ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ 
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે નગર પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો.

હર્ષ સંઘવીનું નિવેદન
આજે મોરબીમાં ઝૂલતો પુલ પડવાથી દુઃખદ ઘટના બની છે. પુલ તૂટ્યો ત્યારે 150 જેટલા લોકો પુલ પર હતા. આજે સાંજે 6-30 વાગ્યે પુલ તૂટ્યો ત્યારે તાત્કાલિક તંત્ર કામે લાગ્યું હતું. મુખ્યમંત્રી સતત જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં હતા. બચાવ કામગીરી ઝડપથી કરવા મુદ્દે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. તાત્કાલિક NDRF ની ટિમ મદદરૂપ થાય તે માટે તાત્કાલિક સહાય પહોંચાડવાનું શરૂ કરાયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. આસપાસની તમામ હોસ્પિટલમાં તબીબોની રજાઓ રદ કરી દેવાના નિર્દેશ આપી દેવાયા છે. 

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ 7ના મોતનો આંકડા મળ્યો છે. તાત્કાલિક બચાવ કામગીરી એ જ પ્રાથમિકતા રહેશે. 70થી વધુ ઇજાગ્રસ્તો લોકોને હોસ્પિટલ ખેસેડાયા છે. ઘટના બન્યાના માત્ર 15 મિનિટમાં જ બચાવ ટીમ પહોંચી હતી. ઘટનાના 19મી મિનિટ પ્રથમ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડાયા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અત્યારે ઓછામાં ઓછા 500 થી 1000 લોકો પુલ પર હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

પીએમ મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે મોરબી ખાતે થયેલ દુર્ઘટનામાં પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં મોરબી પુલ દુર્ઘટના મામલે એક પોસ્ટ કરી હતી.

fallbacks

સીઆર પાટિલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુખદ છે, ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર મળે એ માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે, ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.

મોરબી દુર્ઘટનાના સમાચાર સાંભળીને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ હવાઈ માર્ગે ઘટના સ્થળે જવા રવાના થયા છે. જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થશે.

​​​​​​​મોરબી દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલ, PMO અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના થયા છે.​​​​​​​ PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની દુર્ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

પીએમઓએ ટ્વીટ કરીને આ દુર્ઘટનામાં મોતને ભેટલા પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાના સહાયની જાહેરાત કરી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.

રાજવી પરિવારે બનાવ્યો હતો આ પુલ
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. 

fallbacks

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને તેને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાંત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રિપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઝુલતો પુલ આગામી સમયમાં રાત્રિના સમયે પણ ખુલ્લો રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા. 

fallbacks

પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. બાદમાં છેલ્લા ઘણા વર્ષથી આ પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી છે અને હાલમાં રજાના દિવસો હોવાથી લોકોને મોરબીમાં ફરવા જેવુ કોઈ સ્થળ ન હોવાથી આ પુલ હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

હાલમાં જે ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી પાલિકા અને સરકાર દ્વારા આપવામાં આવી છે તેના દ્વારા પુલને સારી રીતે રીપેર કરી આપવામાં આવેલ છે જો કે, મોરબીના નગરજનો સહિતના સહેલાણીઓ આ પુલને પોતાની પ્રોપર્ટી સમજીને વાપરશે તો તેનો લાંબા સમય સુધી મોરબીના લોકો તેમજ સહેલાણીઓને લાભ મળશે તે હક્કિત છે નહિ તો આગું જે રીતે આ પુલ ઉપર ઠેરઠેર પતરાની પ્લેટો તૂટી ગયેલ હતી તેવી જ પરિસ્થિતી પછી ઊભી થશે તે નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More