તેજસ મોદી/ સુરત: ગુજરાત કોંગ્રેસમાં એક જોડે ત્યાં તેર તૂટે તેવો ઘાટ છે, પ્રદેશ કક્ષાએ નારાજ નેતાઓ નવાજુની કરવાની ફિરાકમાં છે, ત્યારે સુરત શહેરમાં કોંગ્રેસના નવા સંગઠનમાં થયેલી નિમણુકોને લઈંને વિરોધનો વંટોળ ઉભો થયો છે. નારાજ નેતાઓએ દક્ષીણ ગુજરાતના સીનીયર નેતાઓને રજૂઆત કરવા માંડી છે.
જે અંતર્ગત પ્રદેશ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડ્યાએ નારાજ નેતાઓ સાથે મુલાકાત કરી તેમની રજુઆતો સાંભળી હતી. આગામી 11મી જાન્યુઆરીએ નારજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ સાથે મુલાકાત કરી પોતાની વાત કહેશે. સુરત શહેર કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાંની સાથે જ નવા પ્રમુખ બાબુ રાયકા સામે પરિવારવાદ અને જૂથવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નારાજ થયેલા 11થી વધુ નેતાઓએ રાજીનામાં આપી દીધા છે, તો બીજી તરફ પક્ષમાં પોતાની નારાજગી કહેવાની પણ શરૂઆત કરી દીધી છે, પહેલા પૂર્વ મંત્રી તુષાર ચૌધરી અને હવે પ્રદેશ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડ્યા સાથે મુલાકાત કરી હતી. સુરતના સર્કીટ હાઉસ ખાતે નારાજ નેતાઓએ પોતાની રજૂઆત કરી હતી.
બેઠક બાદ ગૌરવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કાર્યકરોની રજુઆત સાંભળી છે. તેમની તમામ રજૂઆતો યોગ્ય ફોરમમાં પહોંચાડીશ, એક સવાલના જવાબમાં તેમને કહ્યું હતું કે કોઈક જગ્યાએ ભૂલ થઈ છે એવું લાગે છે, ભૂલ થઈ છે તે સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. કેટલાક પાના ખોવાય છે, પણ ચિંતાનો વિષય નથી, તમામને સમાવી લેવાનો પ્રયાસ કરશે, તેમને વધુ એમ પણ કહ્યું હતું કે, આગામી 11મી જાન્યુઆરીનાં રોજ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ સાથે નારાજ નેતાઓની બેઠકનું અમદાવાદ ખાતે આયોજન કરાયું છે. જેમાં વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવવાનો પ્રયાસ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે