Gujarat Rains: દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. જે પાણી ભરાયા છે તે ઓસરતા નથી અને મેઘરાજાની ધબધબાટી હજુ પણ ચાલુ છે..ત્યારે જુઓ પાણી પાણી પોરબંદરની મુશ્કેલીનો આ અહેવાલ. દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પોરબંદરમાં પણ સતત પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. બોખીરા ગામમાં નદી વહેતી હોય તેવો ઘાટ ઘડાયો છે. તો માધવપુર ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના છાયા ચોકી વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ટીકાસા ગામમાં પણ વરસાદી આફતને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ટીકાસા ગામમાં જ્યાં ચારે બાજુ પાણી જ પાણી ભરેલું છે. પાણીને કારણે ગામ લોકો ભયના ઓથાર નીચે જોવા મળી રહ્યા છે. પોરબંદર-જૂનાગઢ હાઈવે પર પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. આકાશી આફતથી સૌ કોઈ હેરાન પરેશાન છે, આ વિસ્તારમાં જળતાંડવને કારણે લોકોની સ્થિતિ સાવ કફોડી બની છે. હાલ લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? છાયા ચોકી વિસ્તારમાં ભરાયેલા પાણીને કારણે લોકો હેરાન પરેશાન છે. વરસાદી પાણીને કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. જે પાણી ભરાયેલા છે તે ઓસરતા નથી જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ તો બંધ થયો છે પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર જળમગ્ન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
પોરબંદરનો રાજીવનગર વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓમાં પાણી હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક ઘરમાં પાણી ઘૂસી જતાં માલસામાન બગડી ગયો છે. ખાસ ઈલેક્ટ્રોનિક સાધનો વરસાદમાં પલળી ગયા છે. તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વિરામ પછી તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈ શકાય છે.
શહેરનો રોકડિયા હનુમાન મંદિરનું પરિષર પણ પાણી પાણી છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હાલ પાણી વચ્ચે થઈને આવવું પડી રહ્યું છે. લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. તો ઝી 24 કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કર્યું હતું. પોરબંદરમાં સ્થિતિ કેટલી ખરાબ છે? બોખીરા ગામની જનપુરી સોસાયટી જાણે સરોવર બની ગઈ હોય તેવી સ્થિતિ બની છે. બોખીરાથી જામનગર હાઈવે પર પણ પાણી ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદની આટલી વિકટ સ્થિતિ બાદ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે સુચના આપી હતી. પોરબંદરમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જોવું રહ્યું કે પોરબંદરમાં સ્થિતિ કેવી વિકટ બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે