Home> Gujarat
Advertisement
Prev
Next

145th Jagannath Rath Yatra: અમિત શાહે કરી મંગળા આરતી, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સ્વચ્છ કર્યો

Rath Yatra Live Update: આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. ત્યારબાદ ભગવાનના નેત્રો પરથી પાટા ખોલવામાં આવ્યા અને ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને રથમાં બિરાજમાન કરાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાના ઝાડુથી રસ્તો સાફ કરીને પહિંદ વિધિ કરી. 

145th Jagannath Rath Yatra: અમિત શાહે કરી મંગળા આરતી, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સ્વચ્છ કર્યો

ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ  નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. કોરોનાના કેસ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે લોકો માસ્ક અવશ્ય પહેરે, આ ઉપરાંત મંદિર ટ્રસ્ટે પણ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે લોકો ભગવાનના દર્શન કરવા આવે ત્યારે માસ્ક ખાસ પહેરે. રથયાત્રાના બંદોબસ્તમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

fallbacks

ભગવાનને આવકારવા માટે ભક્તો આતુર
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને થનગનાટ છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. રથયાત્રાના સમગ્ર રસ્તા પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. જય રણછોડ માખણચોર ના નાદ સાથે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે. 

ભગવાન સરસપુર પહોંચે તે પહેલા રસ્તો કરાયો સ્વચ્છ
ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સરસપુર પહોંચે તે પહેલાં ભક્તોએ પાણીથી રોજ ધોઈ નાખ્યો. વહેલી સવારે મહિલાઓએ એકઠા થઈને સરસપુરના રસ્તાઓ સાફ કર્યા. પાણીના બેડા લઈને મહિલાઓએ રોડ ધોયો.

ગજરાજ પહોંચ્યા ઢાળની પોળ
ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ગજરાજ હાલ ઢાળની પોળ પહોંચી ગયા છે. 

ગૃહરાજ્યમંત્રી કરી આ વાત
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોને દર્શન આપવા માટે શાહી અંદાજમાં ભગવાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. યાત્રા સમયસર શરૂ થાય અને ભગવાન સમયસર મંદિરમાં પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ વખતે ખુબ નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વખતે ડ્રોનની સાથે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. 

ચારે કોર હર્ષોલ્લાસનું વાતાવરણ
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ચારેકોર હર્ષોલ્લાસનું વાતાવરણ છે. ઢોલ નગારાના અવાજથી વાતાવરણ મંગળમય બની ગયું છે. 

સૌના સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી ભગવાનને પ્રાર્થના-સીએમ
સીએમ ભૂપેન્દ્ર પટેલે ઝી 24 કલાક સાથે વાતચીતમાં નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તમામ લોકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ છે તો તે અવસરે પણ સીએમ શુભેચ્છા પાઠવી. 

મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ
સવારે 6.55 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રસ્તો ચોખ્ખો કરી પહિંદ વિધિ કરી. ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થઈ. સૌથી પહેલા ભગવાન જગન્નાથજીના રથને મંદિરમાંથી પ્રસ્થાન કરાવવામાં આવ્યો ત્યારબાદ સુભદ્રાજીના રથને રવાના કરાયો અને પછી બળભદ્રજીના રથને મંદિરમાંથી રવાના કરાયો. આ રીતે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા. 

સીએમ પહોંચ્યા મંદિર
સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી ગયા છે. થોડીવારમાં પહિંદ વિધિ કરશે. 

પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે
સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ હતી. પરંતુ હવે જે ખબર આવ્યા છે તે મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે. 

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ પહોંચ્યા મંદિર
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે પણ ભગવાનના દર્શન કર્યા. 

ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
સવારે 5.21 વાગે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. ત્યારબાદ બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા. અને પછી ભાઈ બળભદ્રને રથમાં બિરાજમાન કરાયા. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ, બહેન સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ અને ભાઈ બળભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. 

ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો
સવારે 4.40 વાગે ભગવાનની આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા અને 5 વાગે ભગવાનને ખીચડી અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો

અમિત શાહે કરી મંગળા આરતી
કેન્દ્રીય મંત્રી અમિત શાહે સવારે 3.50 વાગે જગન્નાથજીના મંદિરે પહોંચ્યા. 3.55 વાગે મંદિરના કપાટ ખુલ્યા અને ચાર વાગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી. 

ભગવાનના દર્શને ઉમટ્યા લોકો
ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારે મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નિકળશે. 

fallbacks

જગન્નાથ મંદિરના કપાટ ખુલ્યા
સવારે 3.55 વાગે જગન્નાથ મંદિરના કપાટ ખુલ્યા. ભગવાન આજે નગરચર્યાએ નીકળશે. 

આદિવાસી નૃત્ય અને ઢોલ નગારા સાથે ભક્તોમાં ઉત્સાહ
145મી રથયાત્રા પૂર્વે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસી નૃત્ય અને ઢોલ નગારાના અવાજથી વાતાવરણ એકદમ હર્ષોલ્લાસમય બની ગયું છે. 

100થી વધુ ટ્રક
આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ ઉપરાંત 101 સુશોભિત ટ્રકો જોડાશે. જેનું એન્ટિ સેબોટેજ ચેક ફરજિયાત હોય છે. આ ઉપરાંત ગજરાજ, અખાડા અને ભજનમંડળી પણ રથયાત્રામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ વખતે રથયાત્રામાં 12 ગજરાજનો સમાવેશ કર્યો છે. 30 અખાડા છે, 18 ભજન મંડળી અને 3 બેન્ડ છે. 

અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા
આ વખતે રથયાત્રાના બંદોબસ્તમાં 25,000 જેટલા વિવિધ રેંકના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે. આ ઉપરાંત નભ અને જમીનથી પણ ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા ચુસ્ત કરાઈ છે. હેલિકોપ્ટર અને ડ્રોનથી સતત નિગરાણી થઈ રહી છે. હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી રથયાત્રા પર નજર છે. જેમાં 46 ફિક્સ્ડ લોકેશન તથા અન્ય મૂવિંગ બંદોબસ્ત તથા વ્હિકલ માઉન્ટેડ છે. પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારોમાં દરેક વ્યક્તિની હરકત પર બાજ નજર રાખી રહ્યા છે. 

જુઓ LIVE TV:

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More