અતુલ તિવારી/અમદાવાદ :કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. એડીસી બેંક માનહાનિ કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. માત્ર રાહુલ ગાંધી જ નહિ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે. મેટ્રોકોર્ટના મેજિસ્ટ્રેટ એસ. કે. ગઢવીએ બદનક્ષી થતી હોવાનું માન્યું છે. બંને સામે પ્રથમ દર્શનીય ગુનો- મેટ્રોકોર્ટને ધ્યાનમાં રાખીને આગામી 27મી મેના રોજ મેટ્રોકોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે. નોટબંધી વખતે જમા થયેલાં નાણાંને લઈને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા, જે મામલે કોર્ટે સમન્સ મોકલ્યું છે.
વિશ્વનું સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર છે ભારતમાં, ચૂંટણી આવતા મતદાતાઓ થાય છે રાજીના રેડ
શું છે મામલો
નોટબંધી દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે એડીસી બેંકે પાંચ દિવસમાં 745 કરોડ રૂપિયાની રોકડ બદલી હતી. સુરજેવાલાએ એવો દાવો પણ કર્યો હતો કે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ખુબ નજીક છે. જે દિવસે સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ક પર આરોપ લગાવ્યો હતો, એ દિવસે રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને અમિત શાહ પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના નિદેશક, અમિત શાહજીને અભિનંદન. આપની બેંકે જૂની નોટો બદલીને નવી કરવામાં બાજી મારી લીધી છે. પાંચ દિવસમાં 750 કરોડની રોકડ બદલવામાં આવી છે.
બેંકે કર્યો હતો માનહાનિનો કેસ
રાહુલ ગાંધી અને સુરજેવાલાના નિવેદન બાદ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ (એડીસી) બેન્કના ચેરમેન અજય પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બંને સામે એડીસી બેન્કની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપમાં અપરાધિક માનહાનિનો મામલો દાખલ કર્યો હતો. બેંકે કોર્ટમાં સીડી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરતા કહ્યું હતું કે, બંને કોંગ્રેસી નેતાઓ તરફથી આપવામાં આવેલા નિવેદનો ખોટા હતા, કારણ કે બેંકે આટલી મોટી રકમ બદલી જ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે