મૌલિક ધામેચા/અમદાવાદ :લોકડાઉન (Coronavirus) માં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે અને લોકોને નિયમોનો ચુસ્ત અમલ તો કરાવી જ રહી છે. પણ સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને જમવાથી માંડી અનેક સેવાઓ પૂરી પાડી રહી છે. પણ આ સેવાઓ પર પોલીસ ખાતાના જ અધિકારીએ પાણી ફેરવી દીધું છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ચૌધરીએ શાકભાજીના લારીવાળાઓએ નિયમો ન પાળતા દંડાવાળી કરી લારીઓ ઊંઘી ફેંકી દીધી હતી.
કૃષ્ણનગરના ઉત્તમ નગર કેનાલ પાસે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. લોકો લોકડાઉનને લઈને ઘરમાં જ રહે તે માટે પેટ્રોલિંગમાં નીકળી હતી. પણ ત્યારે વેરા પાસે શાકભાજીની લારીઓ ઉભી હતી. અગાઉ અનેકવાર ડિસ્ટન્સ જાળવીને ઉભા રહેવા કહ્યું હોવા છતાંય આ લોકો નજીકમાં ઉભા હતા. સૂચનાઓનું પાલન ન કરતા આ શાકભાજીની લારીઓવાળાને પોલીસે દંડા લઈને લારીઓ પર પછાડ્યા હતાં. આ લારીવાળાને દોડાવીને બૂમાબૂમ કરીને ભગાડયા અને બાદમાં લારીઓ ઊંઘી વાળી દીધી હતી. શાકભાજી રોડ પર ઢોળી દઈ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.
એક સ્થાનિક વ્યક્તિએ ફ્લેટમાં બાલ્કનીમાંથી આ ઘટના મોબાઈલ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જે અંગે પીઆઇ વી.આર. ચૌધરીનું કહેવું છે કે, શાકભાજીની લારી ઉભી રાખવા માટે પોલીસે સફેદ કલરના બોક્સ પણ તૈયાર કરાવ્યા હતા. પણ લોકો એક મીટરના અંતરે ઉભા રહેતા ન હતા. સાંજના સમયે પેટ્રોલિંગ કરી ટોળા ભેગા નહિ કરવા સૂચન કર્યું હતું. લારીઓ ઊંઘી કરવાનો કોઇ આશય નહોતો, પરંતુ ગેરસમજનો ફાયદો ઉઠાવી અન્ય લોકોએ વીડિયો વાયરલ કર્યો છે. આમ છતાં વારંવાર શાકભાજીની લારીઓ ભેગી થતા કાર્યવાહી કરી છે. પોતાના બચાવ માટે કૃષ્ણનગર પોલીસ પણ આ વાતનું દુઃખ વ્યક્ત કરીને કહે છે કે, કોરોના વાયરસ ખતરનાક છે, જે ક્યારે કોને ફેલાય તે ખબર નથી પણ તે અંગે જરૂરી સુચનોનું પાલન કરવું આવશ્યક છે.
જોકે આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇ સામે તપાસના આદેશ આપ્યા છે અને પીઆઇ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે