Ahmedabad News: જ્યારે તમારૂ નસીબ સારૂ હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં. આ વાત આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાચી પડી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઇટમાં 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) લોકો સવાર હતા, જેમાં લગભગ બધા લોકોના મોત થયા છે, પરંતુ માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે.
વિશ્વાસ પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પરત ફરી રહ્યો હતો. વિશ્વાસે કહ્યું કે તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ કહ્યું કે તે અને રાણી કેમિલા અમદાવાદમાં બનેલી ભયાનક ઘટનાથી આઘાત પામ્યા છે.
40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે ઘટના વિશે વાત કરતા કહ્યું- "ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા."
માત્ર એક વ્યક્તિનો બચી ગયો જીવ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સવાર બધા લોકોના મોત થઈ ગયા છે, પરંતુ એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. રમેશ વિશ્વાશકુમાર નામનો વ્યક્તિ પણ આ ફ્લાઇટમાં સવાર હતો, જે દુર્ઘટનાનો શિકાર બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં રમેશ વિશ્વાશકુમાર નામના વ્યક્તિનો જીવ બચી ગયો છે. બાકી વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા છે.
ચમત્કાર!, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત એક વ્યક્તિ બચ્યો…#ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #AhmedabadAirport #airindia320 #meghaninagar #live #Livevideo #ZEE24KALAK pic.twitter.com/CG47Hgaqrk
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025
250 લોકોના મોતની આશંકા
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો સિવાય પ્લેન ક્રેશ થઈને જ્યાં પડ્યું તે મેડિકલ હોસ્ટેલમાં પણ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટનામાં આશરે 250 જેટલા લોકોના મોત થવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.
એર ઈન્ડિયાએ કરી પુષ્ટિ
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.
રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
અમદાવાદમાં ક્રેશ થયેલા સળગતા વિમાનનો LIVE વીડિયો, જુઓ કાળજું કંપાવે એવો ભયાનક મંજર#ahmedabad #ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #airindia320 #meghaninagar #live #Livevideo #ZEE24KALAK pic.twitter.com/98GmFBo6VZ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025
DNA સેમ્પલ લેવાશે
વિમાનમાં સવાર લોકોના સગાંના ડીએનએ લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ડીએનએ મેચ થયા બાદ મૃતકોની અંગોના ડીએનએ સાથે મેચ કરાશે. ત્યાર બાદ સગાઓને મૃતદેહો સોંપવાની કામગીરી કરાશે. જોકે, મૃતકોનો આંકડો મોટો હોવાથી આ પ્રકિયામાં સમય લાગવાની પુરી શક્યતા છે.
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે.
આ પણ વાંચોઃ 6000 અકસ્માત.... 9 હજાર મોત, Boeing ના વિમાનોમાં આખરે શું છે ખામી? ફરી ઉઠ્યા સવાલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.
6357373831 અને 6357373841
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ amc એ પણ પાલડી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. જુદી જુદી 3 શિફ્ટમાં અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. Amc ના જુદા જુદા વિભાગના સેંકડો કર્મચારીઓ અને મશીનરી ઘટનસ્થળે ઉપસ્થિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે