અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અમદાવાદના મેયર બીજલ પટેલ અને કમિશ્નર વિજય નેહરાએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.
મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા જ વિજય નેહરાએ અમદાવાદને દૈશના 10 સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સમાવવા માટે તમામ પ્રયત્નો કરાશે તેમ જણાવ્યુ હતુ. આખરે તેમની ચેલેન્જનું પરીણામ મળ્યુ છે. સ્વચ્છ સર્વેક્ષણ 2019 અંતર્ગત જાહેર થયેલા શહેરોની યાદીમાં અમદાવાદનો છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યુ છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે એવોર્ડ સ્વીકાર્યા હતા.
2016 અને 2017માં શહેરનો ક્રમ 14મો અને 2018માં 12મો નંબર હતો
1.દેશભરમાં સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ બુધવારે જાહેર થયું હતું. જેમાં અમદાવાદ ટોપટેનમાં આવ્યું હતું અને છઠ્ઠો રેંક મેળવ્યો હતો. આ પહેલા ત્રણ વર્ષના દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત 14મા અને એક વખત 12મા ક્રમે આવ્યું હતું. આ સિવાય આજના સ્વચ્છતા સર્વેમાં ગુજરાતમાંથી રાજકોટને 9મો રેંક મળ્યો હતો. જ્યારે સુરતને 14મો રેંક મળ્યો હતો.
રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ
2.દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મેમાં જાહેર થાય છે. પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી જાહેર યોજાવાની હોવાથી આજે દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ટોપટેનમાં આવતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયા હતા. જેમાં અમદાવાદને પણ એવોર્ડ મળ્યો હતો.
એએમસીએ લીલો સૂકો કચરો અલગ કરવાની શરૂઆત કરી
3.આ વર્ષે શહેરને કન્ટેન્ટર ફ્રી (જાહેર રોડ પરથી કચરાપેટી ખસેડાઈ) કરાયું હતું. છેલ્લા બે વર્ષમાં ક્યારેય સેગરીગેશન (લીલો-સૂકો કચરો અલગ તારવવો) કરીને કચરો મળતો ન હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનરે સેગ્રિગેટ કરેલો કચરો જ લેવાનું ફરજિયાત કરતા સેગરિગેશનના માર્કસ પણ શહેરને પહેલી વખત મળ્યા છે.
ઓડીએફ પ્લસ પ્લસનું રેટિંગ પણ મળ્યું
4.આ વખતે ઓડીએફ પ્લસ અને ઓડીએફ પ્લસ પ્લસનું રેટિંગ પણ મળ્યું હતું. સિટીઝન્સ ફીડબેક માટે પણ મ્યુનિ.ના દરેક વિભાગોને કામે લગાડવામાં આવતા તેમાં પણ દર વર્ષ કરતા માર્કસ વધુ મળ્યા હોવાનો દાવો અધિકારીઓએ કર્યો હતો.
હાલ તો અમદાવાદને સ્વચ્છતા અંગે જે એવોર્ડ મળ્યો તે આવકાર્ય છે, પરંતુ આ એવોર્ડ મળ્યા બાદ તંત્ર સફાઇ અંગેની પોતાની ઝુંબેશ યથાવત રાખે તે પણ એટલુ જ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે