ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કોરોના અંગેના મહત્વના અપડેટ્સ અંગે AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન થાય તો કોરોનાના કેસ ઘટી શકે છે. 14 દિવસના લોડાઉનનું યોગ્ય રીતે પાલન થશે તો જોઈએ તેવા પરિણામો મળશે. પહેલા બે લોકડાઉનમાં જે સફળતા મેળવી તેવી જ રીતે ત્રીજા લોકડાઉનું પણ પાલન કરીએ. સંપૂર્ણપણે ઘરમાંથી ન નીકળીએ, માસ્ક પહેરી રાખવાનું, થૂંકવુ નહિ. જો 14 દિવસ સુધી 100 ટકા લોકડાઉનનું પાલન કરીશુ તો મે મહિના અંત સુધીમાં સંક્રમણ ઘટી શકે. આપણે તમામ અમદાવાદીઓ એકસાથે મળીને લોકડાઉનનું સંપૂર્ણ મક્કકમતા, પૂર્ણ અનુશાસન અને શિસ્ત સાથે પાલન કરીએ.
કોરોના વોરિયર્સની ફોર-ફાઈવ સ્ટાર હોટલમાં સારવાર
કોરોનાના કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને ફ્રન્ટ લાઈન પર કામ કરતા વોરિયર્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ફ્રન્ટ લાઈન પર કામ કરતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને ચેપ લાગે તો સારવાર પણ સર્વશ્રેષ્ઠ મળે, અને કેર અને મેનેજમેન્ટ સારામાં સારુ મળે તેવો નિર્ણય એએમસી દ્વારા લેવાયો છે. આવા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવે તો તેઓની ફોર સ્ટાર ને ફાઈવ સ્ટાર હોટલમાં નિશુલ્ક સારવાર કરાવવામાં આવશે. તેમનો તમામ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ભોગવશે. જેનાથી કોરોના વોરિયર્સનું મનોબળ વધશે. આગામી સમયમાં તેઓને કોરોના પોઝિટિવ થાય તો તેમની સારવાર અને સંભાળ ઉત્કૃષ્ઠ હશે તો તેમનુ મનોબળ અને ઉત્સાહ વધશે.
ગોમતીપુરમાં ઉભું કરાયું કોવિડ સેન્ટર
મ્યુનિસિપલ કમિશનરે મોટી માહિતી આપતા જણાવ્યું કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલી અલ અમીન હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. આ સુવિધા એક રાતમાં જ ઉભી કરાઈ છે. અહી 100 બેડની હોસ્પિટલ ઉભી કરાઈ છે. આમ, હવે આ કોવિડ કેર સેન્ટરમાં ગોમતીપુરના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામા આવશે.
અમદાવાદમા નવા કેસ અને ડિસ્ચાર્જ અંગેની માહિતી
અમદાવાદમાં આજે નવા કેસ અંગેની માહિતી આપતા વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે 267 નવા કેસ આવ્યા છે. તો કુલ મૃત્યુ ગઈકાલે 16 થયા છે. આ ઉપરાંત ગઈકાલે 62 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આજે સવારે કુલ એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદમાં 2659 કેસ પર પહોંચી છે. જેમાંથી 41 વેન્ટીલેટર પર છે, અને 2618 સ્ટેબલ છે. સેમ્પલ લેવાની ટેસ્ટ લેવાની કામગીરી 27 હજાર પર પહોંચી છે. 2038 રેપિડ ટેસ્ટ સાથે કુલ 29324 ટેસ્ટ થયા છે. આજે મોડા સાંજ સુધી અમદાવાદમાંથી 5000થી વધુ કોરોના દર્દી ડિસ્ચાર્જ થાય તેવી શક્યતા છે. વધુ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત જઈ રહ્યાં છે.
એએમસી દ્વારા અમદાવાદમાં 27182 જેટલા ફ્રી માસ્કનું વિતરણ કરાયું છે. તેમજ 4469 સેનેટાઈટર બોટલનુ ફેરિયાઓમાં મફત વિતરણ કરાયું છે. આ ઉપરાંત 532 શાકભાજીની દુકાનો પર કાળજી લેવા અંગેના બેનર લગાયા છે. ગઈકાલથી પત્રિકા વિતરણમાં મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. માહિતી દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ એએમસી દ્વારા કરાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે