આજે ભાદરવી પૂનમ હોઈ માતાના દરેક ધામો ભક્તિથી છલકાયા હતા. માત્ર અંબાજી મંદિર જ નહિ, પંરતુ ખેડબ્રહ્મા અંબાજી માતાનું મંદિર તથા મહેસાણાના પ્રસિદ્ધ એવા બહુચરાજીના મંદિરમાં પણ હજારો દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. આ બંને મંદિરોમાં પણ ભાદરવી પૂનમનું મહત્ત્વ હોય છે.
ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં 6 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા
ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પ્રસંગે જિલ્લા એસ.પી ચૈતન્ય માંડલિકે દર્શન કરી ધજા ચઢાવી હતી. તો એસ.આર.પી બેન્ડ દ્વારા માતાજીની આરતી ધૂન રેલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દેવાયું હતું. આ માઈ મંદિરે અત્યાર સુધી 6 લાખ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યાં છે. અહીં માતાને 6 હજારથી વધુ ધજાઓ ચઢાવવામાં આવી હતી. ૪૩૦ સંઘોએ અહીં રાત્રિ રોકાણ કર્યું હતું. મંદિરે આવતા તમામ ભક્તો માટે વિવિધ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી હતી.
ભાદરવા મહિનો આસ્થા અને ભક્તિનો મહિનો હોઈ ભાદરવી પૂનમે અંબાજી અને નાના અંબાજી માતાના દર્શન કરવા લાખો ભક્તો ચાલીને જતા હોય છે. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા અંબાજી માનું પણ એટલું જ મહત્વ રહેલું છે. માનું પ્રાગટ્ય સ્થાન અહી ગણાય છે. માતા અહીં સ્વંયભૂ પ્રગટ્યા હતા. ત્યારથી અહી ભક્તોની વિશેષ આસ્થા જોવા મળે છે. માતાજી અહી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવું કહેવાય છે.
બહુચરાજી મંદિરે ભીડ જામી
ભાદરવી પૂનમ હોઈ મહેસાણાનું પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ આજે ભીડનો માહોલ રહ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સવલતો ઉભી કરવામાં આવી છે. બાળા ત્રિપુરા સુંદરી માઁ બહુચર રાત્રે પાલખીમાં બેસીને નગરચર્યા કરવા નીકળશે અને ભક્તોને દર્શન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે