Gujarat Change in blackout times: પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર કાર્યવાહી કરી છે. આ વચ્ચે દેશના નાગરિકોને જાગૃત કરવા અને તાલીમ આપવાના ઈરાદાથી આજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં કુલ 19 શહેરો/જિલ્લામાં મોકડ્રીલ યોજાવાની છે. તો અમદાવાદમાં 9 સ્થળો પર મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં સાંજે 4 વાગે મોક ડ્રીલની સાયરન વાગશે. બીજી બાજુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા...ક્ષેત્ર પ્રમાણે બ્લેક આઉટનો સમય નિશ્ચિત કરાયો છે. પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રો પ્રમાણે બ્લેક આઉટ થશે. ૭.૩૦ થી ૮ અને ત્યારબાદ ૩૦ મિનટના ગાળામાં તબક્કાવાર બ્લેક આઉટ થશે. પૂર્વ ગુજરાતમાં ૭ જિલ્લામાં ૭.૩૦ થી ૮, પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લામાં ૮ થી ૮.૩૦ તો મધ્ય ગુજરાતના ૬ જિલ્લામાં ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી બ્લેક આઉટ થશે.
ગુજરાતમાં સાંજે 4 વાગે મોક ડ્રીલની સાયરન વાગશે. અલગ અલગ ત્રણ પ્રકારના સાયરન વાગશે. જ્યાં સાયરન નથી ત્યાં તાત્કાલિક સાયરન લગાવવા સૂચના આપવામાં આવી છે. સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સ બનાવવાની કવાયત હાથ ધરાશે. સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે યોજાનાર મોકડ્રીલની તૈયારીઓ કરી લીધી છે'
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, 'સાંજે 7:30 થી 9 કલાક દરમિયાન ક્ષેત્રો પ્રમાણે બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે, સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઓફિસની લાઈટો બંધ કરવાની રહેશે, હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરે, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે'
અમદાવાદમાં આ જગ્યાએ યોજાશે મોકડ્રીલ
અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાબરમતી ખાતે આવેલ ટોરેન્ટ પાવર પ્લાન્ટ, સાણંદ જી.આઈ.ડી.સીમાં ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે 4થી 8.15 દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે.
ગૃહમંત્રાલયનો આદેશ
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, દેશભરમાં 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 19 જગ્યાએ આ મોકડ્રીલની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી કટોકટીમાં નાગરિકોને સુરક્ષિત રાખવાનો છે. છેલ્લે 1971માં આવી મોકડ્રીલ યોજાઈ હતી, જે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી. ગુજરાતમાં કયા કયા સ્થળે મોકડ્રીલ યોજાવાની છે તે તમે જાણી લો તો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, કાકરાપાર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે