ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ખુબ મોટી કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી દેનારા લોકો સામે કરાઈ. લગભગ 102 એકર જમીનને ગેરકાયદે કબજાથી મુક્ત કરાવવામાં આવી...આ દબાણોને તોડી પાડવા માટે 58 બુલડોઝર અને 70 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. જુઓ સોમનાથમાં દાદા બુલડોઝરના આ ખાસ અહેવાલ.
ગુજરાતના ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર સૌથી મોટી કાર્યવાહી. સોમનાથ મંદિરની પાછળ 102 એકર જમીન પર ગેરકાયદે થયેલા કબજાને હટાવવામાં આવ્યો...આ દબાણો દૂર કરવા માટે એક નહીં, બે નહીં, 58 બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો.
આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિરની પાછળ મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદે કબજો કરીને ત્યાં દબાણો કર્યા હતા. આ જમીન સરકારી હતી. જેની અંદાજિત કિંમત 320 કરોડ રૂપિયા હતી. તો કાર્યવાહીની ગંધ આવતા જ કેટલાક લોકોએ આને ધર્મ સાથે જોડી હોબાળો પણ મચાવ્યો. મોટી સંખ્યામાં એકઠા થયેલા ધર્મ વિશેષ લોકોએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો. લોકો કાર્યવાહીને રોકવા માટે ઘણાં ધમપછાડા કર્યા. પોલીસે સમજાવટના અનેક પ્રયાસો કર્યા. કેટલાક માની પણ ગયા. પરંતુ જે લોકો ન માન્ય તેમની સામે પોલીસે કાયદાનું શસ્ત્ર પણ ઉગામ્યું. પોલીસે સરકારી કામમાં રૂકાવટ કરવા માટે 135 લોકોની અટકાયત પણ કરી હતી.
પોલીસના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રએ અહીં ગેરકાયદે બનાવવામાં આવેલી 14 મસ્જિદોને જમીનદોસ્ત કરી દીધી...સાથે જ અન્ય ધાર્મિક સ્થાનો અને પ્રાઈવેટ પ્રોપર્ટીને તોડી પાડી....આ કાર્યવાહી દરમિયાન ખાસ તકેદારીના ભાગ રૂપે જ્યાં ડિમોલિશન કરાયું ત્યાંથી 2 કિલોમીટર દૂરથી જ રસ્તો સીલ કરી દેવામાં આવ્યો હતો. તો ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું કે, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ કરવામાં આવશે ત્યાં બુલડોઝરથી જવાબ આપવામાં આવશે...ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝી 24 કલાકના ખાસ કોન્કલેવમાં આ કાર્યવાહીને યોગ્ય ગણાવી સાથે જ સરકારી જમીન પર દબાણો કરતાં લોકોને સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી...
આ તરફ બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરી રહેલા લોકોએ આરોપ લગાવ્યો કે, સરકાર સિલેક્ટીવ કાર્યવાહી કરી રહી છે...બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી અનેક મહિનાઓના સર્વે અને કાયદાકીય પ્રક્રિયા પછી કરવામાં આવી.
ગુજરાત સરકારની આ કાર્યવાહીની વાહવાહી થઈ રહી છે. પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી તંત્ર હતું ક્યાં?...આટલા સમય પછી કેમ ગીર સોમનાથનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું?, કારણ કે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કંઈ રાતોરાત થઈ જતો નથી...તો આ કાર્યવાહીનો વિપક્ષે વિરોધ કર્યો...કોંગ્રેસે આ બુલડોઝર કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા.
સોમનાથ મંદિર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર અને દુનિયામાં હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ મંદિર પર અનેક આક્રમણો થયા છે. આ જ મંદિરનો આજે સારો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ મંદિર નજીક જ સરકારી જમીન પર ખોટી રીતે બાંધી દેવામાં આવતા બાંધકામો જે વિકાસમાં અવરોધ ઉભા કરે છે. પરંતુ સવાલ એ પણ છે કે સોમનાથ જ નહીં ગુજરાતમાં એવા અનેક શહેરો છે જ્યાં આ જ પ્રકારી કરોડોની સરકાર જમીન કબજે કરી લેવાઈ છે. ત્યારે સરકાર ત્યાં કાર્યવાહી ક્યારે કરે છે જોવું રહ્યું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે