ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ માર્ગદર્શન આપવા દેશના 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી.
ગુજરાતમાં 55 હજાર બેડ ઉપલબ્ધ
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી ૮ર ટકા એટલે કે ૪પ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે.
ગુજરાતે 104 ફિવર હેલ્પલાઈનને સફળ પ્રયોગ કર્યો
તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે. એટલું જ નહિ, સંક્રમિત દર્દીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે. જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય. મુખ્યમંત્રીએ ગુજરાતે 104 ફિવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વીડિયો કોન્ફરન્સમાં આપી હતી. તેમણે કહ્યું કે, આ સેવા અંતર્ગત લોકોને ઘરે બેઠા જ કોવિડ અંગે પરામર્શ તેમજ આરોગ્ય સેવા મળી રહે છે. રાજ્યમાં
અત્યાર સુધીમાં ર.૭૮ લાખ લોકોએ આ 104 હેલ્પલાઇનનો લાભ મેળવેલો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાતમાં ધન્વન્તરી રથની સંખ્યા વધારી
મુખ્યમંત્રીએ રાજ્યમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવા સાથોસાથ કોવિડથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી રથની સંખ્યા પણ ૧૧૦૦ થી વધારીને ૧૭૦૦ કરી છે તેની વિગતો પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ ધનવંતરી રથ ડોર ઘર આંગણે ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવે છે. શરદી, ખાંસી, તાવ, બી.પી અને ડાયાબિટીસના દરદીઓને આ રથ મારફતે સારવાર સેવા આપવામાં આવે છે. ઇકાલ સોમવારે એક જ દિવસમાં 1 લાખ 52 હજાર લોકોએ આ ધન્વન્તરી રથ સેવાનો લાભ મેળવ્યો છે.
એક જ દિવસમાં 70 હજાર ટેસ્ટ કરાયા
ટેસ્ટિંગ પ્રક્રિયાને પણ વધુ સઘન બનાવવાની વિગતો આપતાં જણાવ્યું કે, RCPTR અને એન્ટિજન્ટ ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સોમવાર તા.ર૩ નવેમ્બરના એક જ દિવસમાં રાજ્યમાં ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરમાં કોરોના રોગગ્રસ્તો માટે હોમ આઇસોલેશનની વ્યવસ્થા અન્વયે ‘સંજીવની કોરોના ઘર સેવા’ની શરૂઆત કરી છે. આવા ૭૦૦ જેટલા સંજીવની રથ દ્વારા દરરોજ અંદાજે ૩ હજાર કોલ્સ પર યોગ્ય કાર્યવાહી થાય છે. આ સેવા દેશભરમાં એક એવી વિશેષ સેવા છે, જેમાં ડૉકટર્સ અને પેરામેડીકલ સ્ટાફ હોમ આઇસોલેશનમાં રહેલા સંક્રમિતોની નિયમિત રૂપે સાર-સંભાળ લે છે.
આના પરિણામે સંક્રમિતોને ઘરે જ રહીને સારવાર મળે છે. એટલું જ નહિ, ગંભીર સ્થિતિવાળા દર્દીદીઓ માટે હોસ્પિટલોમાં બેડ પણ સરળતાથી મળી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે