ઝી મીડિયા/બ્યૂરો :લાઈવ શો દરમિયાન ગુજરાતના કોમેડિયન (Comedian)ની સાથે મારપીટ કરવાની ઘટના બની છે. ગુજરાતના આ યુવા કોમેડિયનની વિરુદ્ધ હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ઈન્દોરમાં બની છે. જુનાગઢના કોમેડિયન મુનવ્વર ફારુકી (Munawar Faruqui) ની ધરપકડ કરવામાં આવી છે.
ઈન્દોરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડે આરોપ લગાવ્યો કે, શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં (કોમેડી શો)માં હિન્દુ દેવી દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે.
શો દરમિયાન થયો હોબાળો
અધિકારીઓએ જણાવ્યું કે, શહેરના 56 દુકાન વિસ્તારમાં એક કેફેમાં શુક્રવારે કોમેડી શો ચાલી રહ્યો હતો. જેમાં એકલવ્ય સિંહ દર્શક તરીકે પહોંચ્યો હતો. પરંતુ કોમેડિયન મુનવ્વર દ્વારા અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેથી કાર્યક્રમમાં હોબાળો થયો હતો. કાર્યક્રમને અધવચ્ચે જ અટકાવી દેવાયો હતો. જેના બાદ તુકોકંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
તુકોગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલેશ શર્માએ જણાવ્યું કે, ગુજરાતના જુનાગઢના રહેનારા હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકી અને 4 સ્થાનિક લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીનો આરોપ
એકલવ્ય સિંહે જણાવ્યું કે, હું અને મારા કેટલાક સાથી ટિકીટ ખરીદીને કોમેડી શો જોવા ગયા હતા. જ્યાં મુખ્ય કોમેડિયન તરીકે આવેલ ફારુકીએ હિન્દુ દેવી દેવતાઓની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરીને તેમની મજાક ઉડાવી હતી. સાથે જ ગોધરાકાંડ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ અયોગ્ય ટિપ્પણી કરી. જેનો વીડિયો અમે બનાવ્યો અને શો રોકાવ્યો હતો. તેના બાદ કોમેડિયન અને આયોજકોને પકડીને તુકોગંજ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
ભાજપના ધારાસભ્ય દીકરાએ આરોપ લગાવ્યો કે, કાર્યક્રમ પરમિશન વગર કરવામાં આવ્યો હતો. જ્યારે કે કોરોના વાયરસ મહામારીમાં આવો કાર્યક્રમ કરવાની પરમિશન નથી. સાથે જ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. નાનકડા હોલમાં ઓછામાં ઓછા 100 લોકોને બેસાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એકલવ્ય હિન્દુ રક્ષક નામની એક સ્થાનિક કમિટીના સંયોજક છે. તો એ પણ જાણવા મળ્યું કે, કેફેમાં એકલવ્ય અને તેમના સાથીઓએ કોમેડિયન સાથે મારામારી કરી હતી. પરંતુ એકલવ્યએ આ બાબતનો ઈન્કાર કર્યો હતો.
શનિવારે પોલીસે 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જિલ્લા અદાલતે તેઓની જામીન આપવાનો ઈન્કાર કરીને 13 જાન્યુઆરી સુધી કસ્ટીમાં રાખવાનો આદેશ આપ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે આઈપીસી એક્ટની ધારા 295A, ધારા 269 અંતર્ગત કેસ નોંધ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે