Gujarat Weather Forecast : ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી છે.
ખેડૂતો માટે વરસાદ-વાવાઝોડું દૂશ્મન બનીને આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદ આવશે. વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આવી છે. માછીમારોને કાલ સાંજ સુધી પાછા ફરવા સૂચના અપાઈ છે. કોંકણના સમુદ્રમાં લૉ પ્રેશર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આંધી અને ભારે પવન ફૂંકાશે.
ગોંડલમાં વાવાઝોડું ફૂંકાયું
ગોંડલમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. શહેરની રામ હોસ્પિટલમાં બારીના કાચ ફૂટ્યા. ભારે વરસાદને કારણે પેલેસ રોડ પર આવેલ શ્રી સોરઠીયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટી ગયા છે. લોકો સલામત સ્થળે ખસી જતા જાનહાનિ થઈ ન હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ છે. લારી પલટી ખાવાનો બનાવ બન્યો હતો.
ચક્રવાતની અસર 31 મે સુધી રહેશે
ગુજરાતના માથે ચક્રવાતનો ખતરો છે, ત્યારે ચક્રવાત અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અરબી સમુદ્ધમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બની શકે છે. જેના લીધે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે દક્ષિણ ગુજરાતમાં 10થી 12 ઈંચ વરસાદ વરસવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. તો 26 મે સુધીમાં ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવી શકે છે. જેના લીધે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદમાં પણ ચક્રવાતની અસરને પગલે ભારે વરસાદ વરસી શકે છે. આ ચક્રવાતની અસર 31 મે સુધી રહેશે.
દ્વારકામાં કોસ્ટકાર્ડનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ સંભવિત વાવાઝોડાની આગાહીનાં કારણે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોસ્ટગાર્ડના જવાનોએ દરિયાઈ વિસ્તારમાં જઈને માછીમારોને સાવધાન રહેવા અને તરત જ દરિયાકિનારે પરત આવવા સૂચના આપી. જહાજો દ્વારા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી માછીમારોને તકેદારીની ચેતવણી આપવામાં આવી. સલામતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવાની અને દરિયાકિનારે પરત ફરી જાય તે માટે અપીલ કરાઈ છે.
જામનગરમાં ચોમાસા જેવો માહોલ
જામનગર જિલ્લામાં જાણે ચોમાસું આવી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો. જામનગરના જામજોધપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જામજોધપુર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જો કે હજુ સાત દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાાં માવઠાની આગાહી છે. માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે.
ગોંડલમાં ધોધમાર વરસાદ
તો રાજકોટના ગોંડલમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસું આવી ગયું. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. ગોંડલ ઉપરાંત, કોટડા સાંગણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારમાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ છવાયો છે. વરસાદથી બાગાયતી ઉપરંત ઉનાળું તળ અને મગ સહિતના પાકને મોટાપાયે નુકસાનની ભિતી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, હરિયાશણ, કોલકી અને સતાવડી સહિતના ગામમાં પણ વરસાદનું આગમન થયું.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી આપી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. જેના લીધે માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવાની પણ સૂચના અપાઈ. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લો પ્રેસર બન્યું છે જે કાલ સાંજ સુધી ડિપ્રેશન બની શકે છે. જેના લીધે વરસાદની શક્યતા કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા થઈ શકે છે.
અરબી સમુદ્ધમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ઉભી થયેલી પરિસ્થિતને પહોંચી વળતા રાજ્ય સરકાર પણ એલર્ટ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ પણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના જિલ્લામાં એલર્ટ હોવાથી જરૂરી સૂચના આપવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે