રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :રાપર તાલુકાના હમીરપર ગામે આજે ખેલાયેલી ખૂની હોળીમાં એક જ પરિવારના પિતા-પુત્રો અને ભાઈ સહિત પાંચ જણાંને અત્યંત ઠંડા કલેજે બેરહેમીથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સામૂહિક નરસંહારથી લઈ જ્યાં અવારનવાર નાની-નજીવી વાતે હત્યા જેવા બનાવો બને છે તે વાગડ આજે વધુ એકવાર પાંચ-પાંચ લોકોના કરપીણ હત્યાકાંડથી સ્તબ્ધ થઈ ગયું છે. દેશી દારૂના ધંધા અને જમીનના ડખામાં થયેલી અદાવત જીવલેણ બની હતી.
આજે હમીરપર ગામના સીમાડે ખૂનની હોળી ખેલાઈ હતી. એસપી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી ધમો કોલી દેશી દારૂનો બૂટલેગર છે. દેશીના ધંધાને લઈ તેને અખા ઉમટ રજપૂત જોડે છેલ્લાં થોડાંક સમયથી માથાકૂટ ચાલતી હતી. થોડાંક સમય અગાઉ બેઉ વચ્ચે બબાલ થઈ હતી અને તેનું સમાધાન પણ થઈ ગયું હતું. દેશી દારૂના ધંધા ઉપરાંત બંને વચ્ચે જમીનનો ડખો ચાલતો હતો. આ ડખો જ હત્યાકાંડનું મુખ્ય કારણ બન્યો હોવાનું પોલીસ માની રહી છે. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, હત્યાકાંડનું ખરું કારણ વિવાદી જમીનનો કબ્જો મેળવવા માટેનો છે. મરનાર અખાભાઈ ઉમટ ધનજીભાઈ નામના શખ્સની જમીનની વાવણી કરતાં હતા. તેનો કબ્જો તેમની પાસે હતો. ત્રણેક વર્ષ અગાઉ આ જમીન મેળવવા રાપરના લાલુભા નામના શખ્સે પ્રયાસો કરતાં અખાભાઈ અને લાલુભા વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદો પણ થઈ હતી.
જમીનનો કબ્જો મેળવવાના હેતુથી જ આ હત્યાકાંડ રચાયો હોવાનું જણાવી આઈજીએ ભારપૂર્વક આ બનાવ પાછળ સામાજિક નહિ, પરંતુ વ્યક્તિગત કારણો હોવાનું ઉમેર્યું છે. આરોપી ધમા કોલીનો ઈતિહાસ પોલીસ ચોપડે ખરડાયેલો છે. અગાઉ તે હત્યાના એક કેસમાં જેલ જઈ આવેલો છે. તો, મરનાર પક્ષના અમુક લોકો પણ પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે. મરનાર લોકોમાં અખા જેસંગ ઉમટ રજપૂત (38), અમરા જેસંગ ઉમટ રજપૂત (30), લાલા અખા ઉમટ રજપૂત (18) પેથા ભવાન રાઠોડ (અખાના બનેલી) (37), વેલા પાંચા ઉમટ (37)નો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો
શરૂઆતમાં આ ઘટના જૂથ અથડામણની હોવાનું પોલીસે માન્યું હતું. જોકે, તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, આ બનાવ જૂથ અથડામણનો નહિ, પણ સુનિયોજીત ઢબે રચાયેલો હત્યાકાંડ છે. મરનાર અખો અને તેના ભાઈ-પુત્ર વગેરે કુલ 8 જણાં સ્કોર્પિયો કારમાં વાડીએથી પરત ગામ તરફ આવી રહ્યાં હતા. ત્યારે, સાંકડા નેળિયામાં ધમા કોલી અને અન્ય વીસથી બાવીસ જેટલાં આરોપીઓએ સામે ટ્રેક્ટર લાવી નેળિયું બ્લોક કરી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ ધારીયા અને દેશી કટ્ટા જેવા હથિયારો સાથે તેમના પર તૂટી પડ્યાં હતા. મોતને નજર સમક્ષ જોઈ તેમણે કારને રીવર્સમાં લઈ જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીઓએ રચેલાં ષડયંત્ર મુજબ પાછળ પણ એક ટ્રેક્ટર લાવી તેમણે રસ્તો સંપૂર્ણ બ્લોક કરી દીધો હતો.
આમ, મરનારાં લોકો માટે જીવ બચાવીને નાસી છૂટવાનો કોઈ આરો રહ્યો નહોતો. જોકે, તેમ છતાં ફરિયાદી રમેશ રજપૂત સહિત કુલ 3 જણાં કારમાંથી બહાર નીકળીને ખેતરોમાંથી મુઠ્ઠી વાળીને નાસી છૂટ્યાં હતા. એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, આરોપીઓ સામે આઈપીસી 120 બી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. હત્યાકાંડ સર્જનારાં તમામ આરોપી નાસી છૂટ્યાં છે. પોલીસને એક આરોપીના ઘરમાથી દેશી બંદૂક મળી છે. ધમા કોલી અને મરનાર અખા વચ્ચે દેશી દારૂના ધંધા ઉપરાંત અન્ય વિવિધ મુદ્દે અંટસ પ્રવર્તતી હતી. ચાર જણનાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતા, જ્યારે પાંચમા વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગણતરીની મિનિટોમાં દમ તોડી દીધો હતો.
ગંભીર ઘટનાના ઘેરાં પ્રત્યાઘાત ના પડે તે માટે એસપી પરીક્ષિતા રાઠોડે તરત જ હમીરપર ગામ ધસી જઈ સમગ્ર ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એસપીએ રજપૂત સમાજના આગેવાનો જોડે બેઠક કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહીની ખાતરી આપી છે. હત્યાકાંડ સર્જનારાં તમામ આરોપીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા એલસીબી, એસઓજી, ભચાઉ, રાપર પોલીસની વિવિધ ટીમે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ પણ ઘટનાસ્થળે દોડી જઈ ગંભીર ગુનાનો તાગ મેળવી પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. જોકે, આ મર્ડર કેસનો એક આરોપી સાંતલપુરથી પકડાયો છે. પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસે લાલુભા વાઘેલાને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે