ચેતન પટેલ/સુરત: ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમા હીરાની નાની પેઢીથી લઇને મોટી પેઢી ટપોટપ મંદીના કારણે બંધ થઇ રહી છે. જેને કારણે 15,000 જેટલા રત્નકલાકારો બેકારીનું જીવન ગુજારી રહ્યા છે. હાલ રત્નકલાકારોની હાલત એવી થઇ ગઇ છે કે, પોતાના પરિવારજનોનુ ગુજરાન કઇ રીતે ચલાવવું તે વિચારી રહ્યા છે. તો કેટલાક રત્નકલાકારોએ સુરત છોડી પોતાના વતન રવાના થઇ ગયા હતા.
સુરતનો હીરો સમગ્ર દેશ સહિત વિશ્વમાં જાણીતો છે. અહી દુનિયાના 10 માંથી 9 હીરા તૈયાર થતા હોય છે. દેશ વિદેશના લોકો અહી પોતાના ધંધા-વ્યવસાય માટે આવતા હોય છે અને તેનાથી લાખ્ખો રત્નકલાકારો પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોય છે. જો કે હીરાના વ્યવસાયને પણ કોઇની નજર લાગી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે આ ઉઘોગ પડી ભાંગ્યો છે.
એવુ કહેવામાં આવતું હતું કે, જો કોઇ અભણ માણસ પણ હીરા ઘસવાનુ કામ કરે તો તેને દર મહિને 20 થી 30 હજાર રુપિયા કમાણી કરી શકે છે. પરંતુ હાલ હીરા ઉઘોગનીએ પરિસ્થિતિ આવી ગઇ છે કે, લોકો હીરા ઉઘોગને અલવિદા કરી રહ્યા છે અને અન્ય જગ્યાએ મજુરી કામ કરી રહ્યા છે. હાલમા ચાલી રહેલી મંદીને પહલે હીરાની પેઢી બંધ કરવાની નોબત આવી રહી છે. પેઢીના માલિક દ્વારા એકાએક જ રત્નકલાકારોને કહી દેવામાં આવે છે કે. કંપની પાસે માલ નથી. જેથી જ્યારે માલ આવશે ત્યારે તેઓને નોકરી પર બોલાવવામા આવશે. જો કે હાલની તારીખમા આ વાતને ત્રણ મહિના વીતી ગયા હોવા છતા કંપની શરુ થવાના કોઇ અણસાર દેખાય રહ્યા નથી.
રત્નકલાકારોની હાલત અંત્યત કફોડી બની ગઇ છે. પોતાના પરિવારજનોનુ ગુજરાન, ઘરનું ભાડુ તેમજ લોનના હપ્તા કઇ રીતે ભરવા તે અંગે તેઓમા ચિંતા જોવા મળી રહી છે. ત્રણ મહિના બાદ પણ કંપની શરુ ન થતા કેટલાક રત્નકલાકારોએ પોતાના વતન તરફ મીટ માંડી હતી. એક એક ફેકટરીમા અંદાજિત 200 જેટલા રત્નકલાકારો કામ કરતા હોય છે. ત્યારે શહેરની જાણીતી હીરાની પેઢી પણ એકાએક બંધ થઇ જતા રત્નકલાકારો રસ્તા પર આવી ગયા હતા. સુરતમા નાની-મોટી પેઢી મળી એક હજારથી વધુ હીરાના કારખાના છેલ્લા એક વર્ષમા બંધ થઇ ગયા છે.
વર્ષ 2008માં જે રીતે હીરા ઉઘોગમા મંદી આવી હતી. અને રત્નકલાકારો બેકાર બન્યા હતા તેવા અણસાર હાલ દેખાય રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચાઇના વચ્ચે જે રીતે ટ્રેડ વોર ચાલી રહ્યુ છે. તેને કારણે તેની નેગેટિવ ઇમ્પેકટ હીરા ઉઘોગ પર પડી છે. કારણ કે, સુરતનો 42 ટકા પોલિશ્ડ ડાઇમંડ ચાઇના અને હોંગકોગ એકસપોર્ટ કરવામા આવે છે. જ્યા ચાઇના ડાયમંડ મેન્યુફેકચરિંગ કરી તૈયાર માલ અમેરિકાને વેચાણ કરતુ હોય છે. જો કે અમેરિકા દ્વારા ચાઇનાની પ્રોડકટ પર એન્ટી ડંમ્પિગ ડયુટી લગાડતા પ્રોડકટ કોસ્ટમા ધરખમ વધારો થયો હતો. જેની સીધી અસર હીરા ઉઘોગ પર જોવા મળી છે.
છેલ્લા એક વર્ષથી પ્રોડકશન ડાઉન હોવા છતા કેટલીક કંપનીઓ કામના કલાકો ઘટાડી ફેકટરી ચલાવતા હતા. જો કે હાલ પરિસ્થિતિ ખુબ જ વિકટ બનતા ફેકટરી બંધ કરવાની નોબત આવી રહી છે. બીજી તરફ હોગંકોગમા યોજાનાર એકઝિબિશન પણ ત્યાં ચાલી રહેલા વિરોધના પગલે બંધ રહેવાના અણસાર દેખાય રહ્યા છે ત્યારે વધુ હીરાની પેઢી કે કારખાના બંધ થવાની શકયતાઓ સેવાય રહી છે.
હાલ જે રીતની મંદી હીરા ઉઘોગમા ચાલી રહી છે તે ખરેખર રાજય સરકાર અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. રાજય સરકાર દ્વારા પાછલા એક વર્ષમા કેટલા રત્નકલાકારો બેકાર બન્યા છે. તે અંગે રિપોર્ટ પણ મંગાવવામા આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે તેમજ રત્નકલાકારોને અન્ય રીતે રાહત આપવામા આવે તેવી આશા હીરા ઉઘોગકારો અને રત્નકલાકાર સેવી રહ્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે