રઘુવીર મકવાણા/બ્રિજેશ દોશી/બોટાદ :સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામ પર આજે સૌની નજર છે. ગઈકાલે ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 8 કલાકથી ગઢડાની કન્યા શાળા ખાતે મતગણતરીની શરૂઆત
થઈ ગઈ છે. 10 ટેબલો પર 3 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી ગણતરી માટે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
ગઢડામાં ટેમ્પલ બોર્ડની ચૂંટણીની આજે મતગણતરી ગણતરી થશે. જેમાં સાધુ વિભાગમાં એસ.પી સ્વામી સામે હરજીવન સ્વામીનો જંગ છે. તો પાર્ષદ વિભાગમાં રમેશભગત ગુરુ સામે વિપુલભગતનો જંગ છે. ગૃહસ્થ વિભાગમાં બંને પક્ષે 4 -4 ઉમેદવારોનો જંગ છે. ગઈકાલે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. સાધુ વિભાગમાં 99 ટકા, પાર્ષદ વિભાગમાં 98 ટકા અને ગૃહસ્થ વિભાગમાં 72 ટકા મતદાન નોંધાયું હતું.
ગઈકાલે થયેલા જંગી મતદાન વિશે એસ.પી સ્વામીએ કહ્યું કે, ઊંચું મતદાન એ હરિભક્તોની જાગૃતિ બતાવે છે. હરિભક્તોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું એટલે જીતનો વિશ્વાસ છે. પાર્ષદ વિભાગ અને ગૃહસ્થ વિભાગમાં અમે જીતીશું.
13 વર્ષ બાદ યોજાઈ ચૂંટણી
13 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીને લીને પ્રતિસ્પર્ધી પક્ષો તથા મતદારોમાં પણ બહુ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઢડાના ગોપીનાથજી મંદિરમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવે છે. છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને કોર્ટ કાર્યવાહીના વિવાદ અંતે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિવૃત હાઈકોર્ટ જજની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ હતી. સંપૂર્ણ ચૂંટણી પ્રોસેસ યોજવાના આદેશ બાદ ગઈકાલે મતદાન હાથ ધરાયુ હતું. મંદિરનું સુકાન સંભાળવા માટે ત્યાગી વિભાગની ત્રણ બેઠક અને ગૃહસ્થ વિભાગની ચાર મળી કુલ સાત બેઠક પર ચૂંટણી યોજવા જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે