ગાંધીનગરઃ રાજ્ય સરકારે તહેવારો માટે વધુ એક ગાઇડલાઇન જાહેર કરી છે. મહત્વનું છે કે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી જ કાઢવાનું હોય તો 400 લોકો ભાગ લઈ શકશે. જો એક કરતા વધુ વિસ્તારોમાં જુલુસ કાઢવાનું હોય તો 15 લોકોની મર્દાયા રહેશે. આ સિવાય સરકારે કહ્યું કે ઈદ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસે કરી શકાશે. આ જુલુસ જે વિસ્તારમાં હશે ત્યાં જ ફરી શકશે. જુલુસ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
આ ધારાસભ્યોએ કરી હતી રજૂઆત
ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે ત્રણ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેમાં અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ પીરજાદાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદને મળશે નવી ભેટ, 75 કરોડના ખર્ચે તૈયાર થશે ફૂટ બ્રિજ
રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ યથાવત
રાજ્યના 8 મહાનગરોમાં કોરોનાને ધ્યાનમાં રાખી રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યું છે. સરકારે દિવાળીનો તહેવાર જોતા રાત્રી કર્ફ્યૂની સમયમર્યાદા 10 નવેમ્બર સુધી વધારી દીધી છે. આ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. શહેરમાં રાત્રે 12 કલાકથી સવારે છ કલાક સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે.
નવરાત્રિમાં મળી હતી છૂટ
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિના તહેવાર દરમિયાન શેરી ગરબા, સોસાયટી કે ફ્લેટમાં ગરબાના આયોજનની છૂટ આપી હતી. જેમાં 400 લોકોની મર્યાદામાં નવરાત્રિ ઉજવવાની છૂટ મળી હતી. નોંધનીય છે કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન કોઈ મોટા આયોજનો થયા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે