બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી આઈ કે જાડેજાને હાર્ટ એટેક આવ્યો છે. ગઈકાલે હાર્ટ એટેક આવતા તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તબીબોએ આપેલી માહિતી અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે. આજે તેમની એન્જીયોગ્રાફી થશે અને સ્ટેન્ટ મુકાશે.
હાલ આઈકે જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનો પરિવાર ટેન્શનમાં છે. હાલ તેમની તબિયત સ્થિર છે. પણ હોસ્પિટલના અપડેટ અનુસાર, ડોક્ટરની સલાહસૂચન મુજબ જ તેમને આગળની ટ્રીટમેન્ટ આપવામા આવશે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આઈકે જાડેજાએ અનેક ટ્વીટ કરી હતી. કેટલીક ટ્વિટ તેમના હાર્ટ એટેક આવ્યાના થોડા કલાકો પહેલા જ થઈ હતી. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, કાર્યકર્તા તરીકે જાહેર જીવનની ફરજના ભાગ રૂપે કરેલા કાર્યની વરિષ્ઠ નેતૃત્વ દ્વારા સકારાત્મકતાના ઉદાહરણ તરીકે પ્રશંસા થાય ત્યારે કાર્યકર્તા તરીકે ખુબજ ગર્વનો અનુભવ થાય તે સ્વાભાવિક છે પણ તેનાથી પણ વધુ માન અને ગર્વ વરિષ્ઠ નેતૃત્વ પર થાય છે, આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન આઈકે જાડેજા કોરોનાગ્રસ્ત બન્યા હતા. બીજી લહેર દરમિયાન ગુજરાત ભાજપના અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમાં એપ્રિલ, 2021 માં આઈકે જાડેજા પણ સંક્રમિત થયા હતા. તે સમયે પણ તેમની સારવાર યુએન હોસ્પિટલમાં થઈ હતી. તેઓ હેમકેમ કોરોનાથી બચી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે