Rajkot News : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થતા આવતીકાલે રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે. સવારે 11.30 વાગ્યે પરિવારને પાર્થિવ દેહ સોંપાશે, નિવાસ સ્થાને અંતિમ દર્શન પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં અંતિમયાત્રા નીકળશે.
12 જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું. DNA મેચ થતા પૂર્વ મુખ્યમંત્રીના મૃતદેહની ઓળખ થઈ છે. આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે. જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમવિધિમાં હાજરી આપવા માટે રાજકોટ જઈ શકે છે..સાથે રાજ્યના મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, ગુજરાત મંત્રી મંડળના સભ્યો હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી મંડળના અન્ય કેટલાક નેતાઓ પણ પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.
ત્રણ શોકસભાનું આયોજન
મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની શોકસભા રાખવામાં આવશે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. મહત્વનું છે કે, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું.
તારીખ 16 જુન, 2025 ના રોજ વિજય રૂપાણી પાર્થિવ દેહની અંતિમ વિધિ કાર્યક્રમ આ મુજબનો રહેશે
4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન
(નિવાસસ્થાન :- પૂજિત, ૨/૫ પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ (સ્કૂલ સામે, રાજકોટ)
5.00 થી 6.00 નિવાસસ્થાનેથી રસમનાથપરા સ્મશાન સુધીની અંતિમ યાત્રા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, રાજકોટ
17 જુન, 2025 મંગળવારે સાંજે 3.00 થી 6.00
પ્રાર્થના સભા સ્થળ : રેસકોર્ષ મેદાન, રાજકોટ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થનાસભા, ગાંધીનગર
19 જુન, 2025 ગુરુવારના રોજ સવારે 9.00 થી 12.00
પ્રાર્થના સભા સ્થળ : હૉલ નં. | એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭, ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા, ગાંધીનગર
20 જુન, 2025 શુક્રવારે સાંજે સાંજે 4.00 થી 6,00
પ્રાર્થના સભા સ્થળ : કમલમ, કોબા, ગાંધીનગર
રાજ્યના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના સરળ અને સુહ્રદ સ્વભાવ માટે જાણીતા હતા. લોકોની વચ્ચે તેઓ સામાન્ય જનતાની જેમ જ રહેતા હતા અને તેમના સુખદુઃખમાં સહભાગી થતા હતા. તેમના આવા જ અંદાજનો વર્ષ 2016નો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેઓ જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારનો છે. શહીદોનો શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે સ્ટેજ પર વિજયભાઈએ 'મેરા રંગ દે બસંતી ચોલા' ગીત ગાયું હતું. સ્ટેજ પર કલાકારો સાથે બેસીને વિજય રૂપાણીએ આ ગીત ગાયું ત્યારે લોકો પણ તેમની સાથે વીરરસમાં તરબોળ થયા હતા. પૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ નવ વર્ષ પહેલાનો આ વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો વિજય રૂપાણીના સરળ સ્વભાવને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે