અતુલ તિવારી/અમદાવાદ: આજથી દેશભરમાં કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા કો - મોરબીડ એવા તમામને પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. 10 એપ્રિલ પહેલા કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો એ તમામ પ્રિકોશન ડોઝ મેળવી શકશે. બીજો ડોઝ લીધાના 9 મહિના વીત્યા બાદ તમામ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 60 વર્ષ કરતા વધુ ઉંમરના કો-મોરબીડ લોકો પ્રિકોશન ડોઝ માટે લાયક ગણાશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સવારે 10 વાગે રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર તેમજ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 10.30 કલાકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ છે. ભવિષ્યમાં કોરોનાના કેસો વધે અને હેલ્થ વર્કર્સ સુરક્ષિત રહીને દર્દીઓને સારવાર આપી શકે તેમજ તેમની ઇમ્યુનિટી જળવાઈ રહે એ હેતુથી પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 20 સરકારી હોસ્પિટલમાં તેમજ 80 અર્બન હેલ્થ સેન્ટરો પર પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
ઉત્તરાયણમાં લોકો અગાસી પર કેમ મોડાં જશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી
અગાઉ લીધેલા ડોઝ સમયે નોંધાવેલા રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી પ્રિકોશન ડોઝ મેળવી શકાશે. જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્રના માધ્યમથી ડોઝ લઈ શકાશે. પહેલો અને બીજો ડોઝ જે વેકસીનનો લીધો હશે એ જ કંપનીની વેક્સીનનો ડોઝ પ્રિકોશન ડોઝ તરીકે લેવાનો રહેશે. કોવિશિલ્ડ લેનારને કોવિશિલ્ડ અને કોવેકસીન લેનારને કોવેકસીન જ પ્રિકોશન ડોઝ તરીકે અપાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર 10મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29 ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે