બ્રિજેશ દોશી, અમદાવાદ: 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 15 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જોવા મળ્યું. ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે.
જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ 66.60 ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ 65.80 ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયું. વર્ષ 2015ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં 47.63 ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં 68.65 ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 63.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં 78 ટકા મતદાન થયું.
2 માર્ચના રોજ પરિણામ
રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ 2 માર્ચના રોજ આવશે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી 117 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે