ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસ અને ઓમિક્રોનના કેસ વધતા રાજ્ય સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું છે. શુક્રવારે સાંજે રાજ્ય સરકારે જાહેર જનતાની તકેદારીના ભાગરૂપે નવી કોરોના ગાઈડલાઈન બહાર પાડી છે. ધોરણ 1થી 9ની શાળાઓ ફરીથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ફરીથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ શાળાઓ માટે આ નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વકરતાં નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના આજે 5000થી વધુ કેસો નોંધાવા લાગતાં નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. થોડા સમયથી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા, જેના કારણે સ્કૂલો બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે રાજ્યની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્રને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે.
અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શુક્રવારે સાંજે કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાં રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાનો નિર્ણય લેવાયો છે.
'કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિ બગડતી જાય છે, એટલે આકરા નિયત્રંણો જરૂરી: નીતિન પટેલ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કોરોનાને રોકવા માટે રાજ્યમાં ફરીથી આકરાં નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે