ગૌરવ પટેલ, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ પહેલાં એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરીને પોતાની ટીમ મજબૂત કરવા માંગે છે. જીત માટેની રણનીતિ ઘઢવા માંગે છે. બીજી તરફ રાહુલ ગાંધીની જ ટીમના અલબત્ત કોંગ્રેસના વર્ષો જુના કાર્યકરો પક્ષપલટો કરીને ભાજપમાં જઈ રહ્યાં છે. ગુજરાતના રાજકારણની હાલ હવા બદલાયેલી છે. ત્યારે આ બદલાયેલાં પવનમાં કોંગ્રેસના ઝાડ પરથી વધુ એક ડાળી તૂટી રહી છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના વધુ એક ધારાસભ્યની. ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય છોડી શકે છે કોંગ્રેસ. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને ટાટા...બાય બાય અને રામ રામ કહી ચુક્યા છે.
ટૂંક જ સમયમાં લાડાણી રાજીનામું આપે એવી શક્યતાઃ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળવા જઈ રહ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જલ્દી જ રાજીનામું આપશે એવી માહિતી સામે આવી છે. ઝી 24 કલાક પાસે એવી એક્સક્લુસિવ માહિતી છેકે, આજે અથવા આવતીકાલે અરવિંદ લાડાણી આપી શકે રાજીનામું. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં હશે ત્યારે જ લાડાણી આપી શકે રાજીનામું.
અગાઉ પણ ઉઠી ચુકી છે લાડાણીના પક્ષપલટાની વાતોઃ
મહત્વનું છે કે, 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 અપક્ષ અને એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ તે બાદ અપક્ષના એક, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્ય પદ છોડી ચુક્યા છે. અને હવે તેમાં અરવિંદ લાડાણીના નામનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ લાડાણીના પક્ષ છોડવાની વાત ઉઠી હોય. આ પહેલા પણ આવી શક્યતાઓ સામે આવી હતી. જો કે, એ સમયે તો અરવિંદ લાડાણીએ છડેચોક કહ્યું હતું કે તેઓ પક્ષ કે પદ નહીં છોડે. પરંતુ લાગે છે કે હવે નેતાજીએ મન બદલી લીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે