તેજશ મોદી/સુરત: 22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ આગ કાંડની ઘટનામાં આખરે સુરત પોલીસે સપાટો બોલાવી મહાનગરપાલિકાના મોટા અધિકારીઓ સહિત ચારની ધરપકડ કરી છે. આ ઘટનામાં ધરપકડનો આંકડો વધીને નવ પર પહોંચ્યો છે. મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર કક્ષાના અધિકારીઓએ જ્યારે તક્ષશિલા આર્કેડના પ્લાનને ઈમ્પેક્ટ ફી નાં કાયદા હેઠળ મંજુરી આપી હતી, તેમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું તપાસમાં ખુલ્યું છે, તો ડીજીવીસીએલના અધિકારીની પણ ઘોર બેદરકારી સામે આવી છે.
24મી મેનો એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી, આ જ દિવસે સાંજે ચાર વાગ્યે એવી ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા. આ ઘટનામાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદારોને કડક સજા થાય તે માટે સરકારે કમિટી બનાવવા સાથે પોલીસ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. ઘટના અગિયારમાં દિવસે ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી મહાનગર પાલિકાના બે સિનીયર અધિકારીઓની ગંભીર બેદરકારી બાદ ધરપકડ કરી છે, તો સાથે જ દક્ષીણ ગુજરાત વિજ કંપનીના એક અધિકારી અને બિલ્ડિંગના ભાગીદારની પણ ધરપકડ કરી છે.
મહાનગરપાલિકાના જે બે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પરાગ મુનશી અને જયેશ સોલંકીનો સમાવેશ થાય છે, કાર્યપાલક ઈજનેર કક્ષાના બંને અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે, પી ડી મુનશી જે મનપાના કાર્યપાલક ઈજનેર છે તેઓ તક્ષશિલાને મંજુરી આપવામાં આવી ત્યારે વરાછા ઝોનમાં હતા, મુનશીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ થયેલા પ્લાનને સ્થળ, સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરુદ્ધ ઈંપેક્ટ ફી મંજૂર કરી હતી આમ મુનશીએ ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી બેદરકારી દાખવી હતી, તો જયેશ સોલંકી જે મનપાના એકઝીક્યુટિવ એન્જિનિયર છે તેઓ પણ તે સમયે વરાછા ઝોનમાં ફરજ પર હતા અને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાનને સ્થળ, સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના સર્ટિફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન એટલે કે C.O.R. ઈશ્યુ કર્યું હતું, અને ખોટી રીતે મંજુર થયેલા ઈંપેક્ટ ફી ના સર્ટિફિકેટ દ્વારા બિલ્ડિંગને અધિકૃત બતાવી ફરજચૂક અને ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી દાખવી હતી.
તક્ષશિલા આર્કેડની આગની ઘટનમાં જે વિભાગનું નામ સૌથી વધુ ચર્ચાયું હતું તેવા ડીજીવીસીએલના એક અધિકારીની પણ ગંભીર બેદરકારી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે, સરથાણા સબ ડિવિઝનના નાયબ ઈજનેર દિપક નાયક દ્વારા બિલ્ડર આરોપીઓને ટ્રાન્સફોર્મર, ફુયઝ, તથા ગ્રાહક તરફથી કરવામાં આવેલા વિજવપરાશની મંગણી સામે ચકાસણી કર્યા બગર ગેરકાયદેસર વિજ કનેક્શન આપવામાં આવ્યું હતું, સાથે જ આગ જ્યારે લાગી ત્યાર બાદ લાંબા સમય સુધી વિજકનેક્શન સપ્લાય બંધ કે સટડાઉન કરી ન હતી, આમ આગ વધતી ગઈ હતી, જેથી ગંભીર ફરજચૂક ગુનાહિત બેદરકારી દાખવી હતી, તો તક્ષશીલા આર્કેડના બિલ્ડર રવીન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કહાર દ્વારા ભાગીદારી હોવા છતાં જરૂરી ધારા ધોરણ પ્રમાણે પરમિશન ન મેળવી હતી અમે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું જેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તક્ષશિલા આર્કેડની આગની ઘટનામાં ત્રણ બિલ્ડર, ચાર મનપા અધિકારીઓ, એક વિજ કપનીના અધિકારી અને એક ટ્યુશન સંચાલક મળી કુલ નવ દોષિતોની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, જોકે ઘટનમાં કડક કાર્યવાહી કરવાનો દાવો કરનારા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ ધરપકડ કરાયેલા અધિકારીઓના ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો, જયારે તેમને રજૂઆત કરવામાં આવી તો તેમને કહ્યું હતું કે આ રેપ્યુટેડ અધિકારીઓ હોવાથી તેમના ફૂટેજ નહીં મળે, જોકે હવે હવે અધિકારીઓ ગુનેગાર છે અને આરોપી તરીકે તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે, કે હજુ કેટલાક લોકોની ધરપકડ આ કેસમાં થઈ શકે છે, જોકે કોનો વારો હવે આવશે તેની ચિંતા અને ચર્ચા માનપા અને વિજ કંપનીના અધિકારીઓમાં ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે