રાજેન્દ્ર ઠકકર, કચ્છઃ માંડવીના જખણીયા ગામે સંઘાર પરિવારમાં ઘરના મોભીએ જ પત્નીને ઝેર પીવડાવી દીધા બાદ ત્રણ દીકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સામૂહિક હત્યાકાંડને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ચાર-ચાર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થયો છે.
કચ્છના બંદરીય શહેર માંડવી નજીક આવેળા જખણીયા ગામમાં કરુણતા સર્જાઈ છે. ઘરના જ મોભીએ પોતાના પરિવારની ઘાતકી હત્યા કતી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ગામમાં રહેતા આરોપી શિવજી ઊર્ફે જખુ પચાણ (સંઘાર)એ આજે સવારે સાડા દસના અરસામાં તેની પત્ની ભાવનાને બળજબરીપૂર્વક ઝેર પીવડાવી દીધું હતું. પતિ ઝેર પીવડાવતો હતો ત્યારે પત્નીએએ બુમાબુમ કરતાં આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને ભાવનાને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. ભાવનાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ દરમિયાન, આરોપી શિવજીએ ઘરમાં રહેલી તેની ત્રણ માસૂમ દીકરી ધર્મિષ્ઠા (ઉ.વ.02), કિંજલ (ઉ.વ.07) અને તૃપ્તિ (ઉ.વ.10)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મારી નાખી હતી.
ત્રણેય દીકરીની હત્યા બાદ દરવાજાને લૉક મારીતે નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ ઘરે જઈ દરવાજો ખોલતાં અંદર ત્રણ ત્રણ દીકરીઓની લોહી નિકળતી લાશ પડી હતી. બનાવ અંગે જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે દોડી ગયાં છે. શિવજી નાસી છૂટ્યો છે. તેને પકડવા વિવિધ ટીમ બનાવાઈ છે. એક જ પરિવારમાં ચાર-ચાર લોકોની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
આરોપી શિવજી પકડાય ત્યારબાદ હત્યાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. આર્થિક સંકડામણના લીધે આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકે ચર્ચાઈ રહ્યું છે. શિવજી મજૂરીકામ કરી પેટિયું રળી ખાતો હતો. પ્રાથમિક તબક્કે એવું બહાર આવ્યું છે કે શિવજીની બે નાની દીકરીઓનો શારીરિક વિકાસ કોઈ બીમારીના કારણે યોગ્ય રીતે થતો નહોતો. આ બાબત અંગે પણ શિવજી ઘણો પરેશાન રહેતો હતો. અલબત્ત આરોપી પકડાયા બાદ હત્યાકાંડનું ખરું કારણ સ્પષ્ટ થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે