India Pakistan ceasefire : આતંકીઓનું આશ્રયસ્થાન પાકિસ્તાન આખરે ઘૂંટણિયે પડ્યું છે. ઓપરેશન સિંદુરથી પાકિસ્તાની સેના થર થર કાંપી છે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે મોટી કાર્યવાહી કરી છે. ત્યારે ગુજરાતની બોર્ડર પરના વિસ્તારોમાં આજે રવિવારે સવારે કેવી પરિસ્થિતિ છે, તે જોઈએ
કચ્છમાં ચાર દિવસ બાદ શાંતિ
ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ હાલ કચ્છની બોર્ડર પર સ્થિતિ શાંત છે. ચાર દિવસ બાદ કચ્છમાં હાલ શાંતિનો માહોલ છવાયેલો છે. ગઈકાલે રાતે પાકિસ્તાને તોડેલા સીઝફાયર બાદ હાલ ક્યાંય કોઈ તણાવ નથી. કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી. લોકોમાં પણ રોજની જેમ અવરજવર જોવા મળી.
કચ્છમાં જનજીવન ફરી ધબકતું થયું
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આજે સવારથી ભુજની તમામ બજારો સામાન્ય દિવસની જે ખુલી ગઈ છે. જનજીવન ફરી ધબકતું થયું છે. ગઈકાલે રાત્રે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેક આઉટ આપવામાં આવ્યું હતું. રાત્રે 10 થી અત્યાર સુધી કોઈ જ ડ્રોન હુમલો ન થતા સ્થિતિ સામાન્ય છે.
રાતે શું થયું હતું
મોડી રાતે કચ્છમાં અચાનક ડ્રોન દેકાયા બાદ સંવેદનશીલ પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને રાતે દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકાના વહીવટીતંત્ર દ્વારા એક અતિ મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત, દ્વારકા તાલુકાના સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્લેકઆઉટ ગઈકાલે સાંજે 7 વાગ્યાથી શરૂ કરીને બેટ દ્વારકાથી કુરંગા સુધીના સમગ્ર વિસ્તારમાં લાગુ કરાયું હતું અને સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, તમામ મંદિરો સહિત અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી હતી. શોપિંગ સેન્ટરોને પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. અને સાંજે 7 વાગ્યા પછી તમામ પ્રકારની એક્ટિવિટીઝ બંધ કરવા વિનંતી કરવામાં આવી છે. ઇમરજન્સી સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે અને તેઓ સંપૂર્ણપણે એલર્ટ પર છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ પરિસ્થિતિમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે
કચ્છમાં હજુ સાચવેતી રખાશે
ભુજમાં હજુ સાવચેતી ચાલુ રહેશે. ભુજ એરપોર્ટ હજુ 14 મે સુધી બંધ રહેશે. નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી એરપોર્ટ બંધ રાખવામાં આવશે.
કચ્છમાં રાતે દેખાયા હતા ડ્રોન
નારાયણ સરોવરમાં એક ડોન 6:00 વાગે તેમ જ બીજું ડ્રોન 8:30 વાગે નીકળ્યું હતું. રાત્રે 8:30 વાગ્યાના ડોનની ઝડપ બહુ જ વધારે હતી અને તે જખૌ તરફ ગયું હતું તેવું સ્થાનિકોએ જણાવ્યું.
દેશભરની બોર્ડર પર શાંતિનો માહોલ
ભારતના જડબાતોડ જવાબ બાદ હવે દેશમાં શાંતિનો માહોલ છે. ભારતના જવાબથી પાકિસ્તાનની હવા નીકળી ગઈ. માત્ર ગુજરાતમાં જ નહિ, સીઝફાયર બાદ બોર્ડર વિસ્તારોમાં આજે શાંતિનો માહોલ જોવા મળ્યો. મોડી સાંજ બાદ બોર્ડર વિસ્તારોમાં હુમલાઓ નથી જોવા મળ્યા. સવારથી જ બોર્ડરના અલગ અલગ શહેરોમાં સામાન્ય સ્થિતિ દેખાઈ. સીઝફાયર વચ્ચે પણ સેના એલર્ટ મોડમાં છે. ભૂજ, શ્રીનગર, જમ્મુ, પૂંછ, અખનૂરમાં શાંતિ છે. અમૃતસર, ફિરોજપુર સહિતની જગ્યાએ શાંતિ છવાયેલી છે. જમ્મુ કશ્મીરમાં સ્થિતિ સામાન્ય જોવા મળી. દલ લેક પર જનજીવન સામાન્ય જોવા મળ્યું. શાકભાજી વિક્રેતાઓએ વેપાર-ધંધા શરૂ કર્યા. સામાન્ય લોકોએ કહ્યું, 'અમારે જોઈએ છે શાંતિ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે