રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમાં ભુમાફીયા સામે ફરી એક વખત પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરનાર ૩ શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પોલીસની ગિરફતમાં આવેલા ત્રણ શખ્સો નામ સંજય ધોળકિયા, જયદીપ પરમાર, અને અજય ખુંભરવડીયા છે. આ શખ્સો પર આરોપ છે ખેડૂતની જમીનના ખોટા સાટાખત તૈયાર કરી રૂપિયાની માંગણી કરવાનો આ લોકોનો ધંધો છે. રાજકોટ નજીક લોધિકાના પાળ ગામે રહેતા ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના ખોટા સાટખત કરી આ ભૂમાફિયાઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે મામલે ખેડૂત દ્વારા પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે અરજીના આધારે પોલીસે ત્રણે ભૂમાફિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે મામલો કેવી રીતે થયો ભૂમાફિયા નો પર્દાફાશ ?
જમીનના મૂળ માલિકએ પોતાની જમીન વર્ષ 2012માં વેચાણ કરી હતી. અનેએ સમયે વકીલ મારફતે વાધા હોય તો રજુ કરવા જાહેર નોટીસ પણ આપી હતી. પરંતુ તે સમયે કોઈ વાંધા અરજી થવા પામી ન હતી. અને બાદમાં એક વ્યક્તિ દ્વારા બોગસ સાટખત તૈયાર કરી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે દાવો પરત ખેચવા ખેડૂત પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેના આધારે ખેડૂત દ્વારા રાજકોટ પોલીસને લેખિત અરજી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ૩ આરોપી દ્વારા બોગસ સાટાખત તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કાગળ પર જે વકીલની સહી કરવામાં આવેલ છે. તે વકીલનું પણ અવસાન થઈ ગયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેની પણ બોગસ સહીનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા તપાસ હાથ ધરી છે.
હાલ તો રાજકોટ પોલીસે ખેડૂતની લેખિત અરજીનાં આધારે તપાસ હાથ ધરી બોગસ સાટાખત તૈયાર કરી રૂપિયાની માંગણી કરનાર ૩ ભૂમાફિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે પકડાયેલ ત્રણેય ભૂમાફિયા સાથે અન્ય કોઈ મોટા ભૂમાફિયા સંકળાયેલ છે કે કેમ કે, પછી ચુંટણી કાર્ડ સહીતના ડુપ્લીકેટ પુરાવા તૈયાર કરવામાં અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે