અતુલ તિવારી/અમદાવાદ: શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલા કાંકરિયા ખાતે રાઈટ તૂટી જતા બેના મોત તેમજ 29 વ્યક્તિઓ ઈજાગસ્ત થવાની ઘટનામાં હાલ 28 વ્યક્તિઓની એલજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોની સારવાર હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે કરાઈ રહી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા હોસ્પીટલમાં જ્યારે દર્દીઓની મુલાકાત લેવામાં આવી ત્યારે આ સમયે મીડિયાને દુર રાખવામાં આવ્યા હતા.
દર્દીઓ સાથેની મુલાકાત બાદ જ્યારે મેયર બીજલ પટેલને ઘટનાની જવાબદારી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સમગ્ર ઘટનાની જવાબદારી R&B અને પોલીસ વિભાગની હોવાનું જણાવ્યું સાથે જ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. મેયરે જણાવ્યું કે રાઈડની પરવાનગી પોલીસ આપતી હોય છે એટલે તેઓને પગલા લેવાનો આદેશ કર્યો છે.
જુઓ LIVE TV:
પરંતુ રાઈડ તુટવાની ઘટનામાં કોર્પોરેશનની જવાબદારી વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ભડક્યા તો સાથે જ માત્ર દર્દીઓ અંગે જ વાત કરવા જણાવ્યું હતું. કાંકરિયા ખાતેની જગ્યાએ કોર્પોરેશને માત્ર ભાડે આપી છે તેવું કહીને મેયરે પોતાનો બચાવ કર્યો હતો અને કોર્પોરેશનની જવાબદારી અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે