ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનમાં પોતાના રાજ્યોમાં જવા છૂટછાટ મળતા જ પરપ્રાંતીયોમાં હાશકારો થયો છે. તંત્ર પાસેથી પાસ મેળવીને મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતનમાં જવા નીકળ્યા છે. આજે રાજ્ય સરકાર દ્વારા પણ ઓરિસ્સા અને યુપી માટે ટ્રેન દોડાવવામાં આવનાર છે. આવામાં પોતાના રાજ્યમાં જવા નીકળેલા પરપ્રાંતીયો રસ્તામાં અટવાયા છે. તો દાહોદ અને વડોદરામાં પરપ્રાંતીયો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
દાહોદના પરપ્રાંતિઓનો પોલીસ પર પથ્થરમારો
દાહોદના ખંગેલા બોર્ડર પર પરપ્રાંતિઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા. પોલીસે પરપ્રાંતીયો પર હળવો લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઉત્તર પ્રદેશ જવા નીકળેલ શ્રમિકો દાહોદ બોર્ડર પર આજે અટવાયા હતા. 400થી વધુ શ્રમિકો યુપીના ભથવાડા ટોલ નાકા ઉપર અટવાયા હતા. સરકારનો પરિપત્ર છતા યુપી સરકારાના સંકલનના અભાવે તમામ શ્રમિકો અટવાયા હતા. યુપી રાજ્યની સરકાર સત્વરે શ્રમિકોને લઇ જવાની વ્યવસ્થા કરે તેવી માંગ છેલ્લા 3 દિવસથી અટવાયેલા શ્રમિકો કરી રહ્યાં છે.
દાહોદની મધ્યપ્રદેશ અને ગુજરાતની ખંગેલા બોર્ડર ઉપર હજારો પરપ્રાંતિઓને રોકવામાં આવ્યા હતા. ગઈ કાલે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, કોઈ પણ પોતાના વતન જઇ શકશે, જેને લઈ બપોર પછી સમગ્ર ગુજરાતમાંથી ખાનગી ટ્રાવેલ્સમાં બેસી લોકો પોતાના વતન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. પરંતુ ગુજરાત મધ્યપ્રદેશની ખંગેલા બોર્ડર ઉપર મધ્યપ્રદેશ બોર્ડર ઉપર પર પ્રાંતિઓની બસો યુપી જતી રોકવામાં આવી હતી અને પરત મોકલવામાં આવી હતી. મધ્યપ્રદેશ દ્વારા અચાનક બોર્ડર સીલ કરાતા હજારો મુસાફરો રઝળી પડ્યા હતા.
હાલોલ રોડ પર પણ પરપ્રાંતીયોએ પથ્થરમારો કર્યો
તો બીજી તરફ, વડોદરામાં હાલોલ રોડ પર પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વડોદરા હાલોલ બોર્ડર પાસે બસને આગળ જતા રોકી હતી. પથ્થરમારો સુરતથી યુપી બિહારના પરપ્રાંતીયો બસમાં બેસી વતન જવા નીકળ્યા હતા. પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. હાલ વડોદરા હાલોલ બોર્ડર પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે.
5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી
અરવલ્લીમાં શ્રમિકોએ પોલીસ પર હુમલો કર્યો
અરવલ્લીના શામળાજી પાસે આજે શ્રમિકો દ્વારા શેલ્ટર હોમમાં તોડફોડ કરાઈ હતી. તેમજ પોલીસ પર પણ હુમલો કરાયો હતો. શેલ્ટર હાઉસમાં રખાયેલ શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. વતન જવાની માંગ સાથે શ્રમિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના બાદ અરવલ્લી એસપી સહિત જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શામળાજી પાસેના શેલ્ટર હાઉસમાં યુપીના શ્રમિકો રખાયા છે. પોલીસ પર હુમલો કરવા શ્રમિકોએ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો. શ્રમિકોએ શેલ્ટર હોમમાં તોડફોડ કરી હથિયાર ઉભા કરાયા હતા. આ ઘટના બાદ અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે