Morbi Bridge Tragedy હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં એફએસએલ દ્વારા સ્થળ પરીક્ષણનો પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો છે. એફએસ એલના પ્રાથમિક રિપોર્ટ આધારે ડિસ્ટ્રીક કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી. પ્રાથમિક રિપોર્ટમાં પુલના રસા અને નટ બોલ્ટ વગેરેમાં કાટ હોવાનું સામે આવ્યું છે. ઝુલતા પુલ દુર્ઘટનાના આઠ આરોપીઓની જામીન અરજીની આવતીકાલે સુનાવણી થવાની છે.
મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં સમારકામ અને મેનેજમેન્ટમાં મોટી ચૂક થયાનો ખુલાસો થયો છે. મોરબીમાં ગત મહિને ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસમા ઓરેવા ગ્રૂપ અને નગરપાલિકાની ટીમ પર સવાલ ઉઠી રહ્યાં છે. કાટ લાગેલા કેબલ, સમારકામ ન કરાયેલા એન્કર, ઢીલા બોલ્ટ અને ટેકનિકલ જ્ઞાન વગરના કર્મચારી, આ તમામ કારણોને કારણે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની શરૂઆતની તપાસમાં ખુલાસો થયો છે.
એફએસએલ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, ધાતુથી બનાવેલી સર્ફેસે પુલનુ વજન વધાર્યુ હતુ. ફરિયાદ કરનાર પક્ષના જણાવ્યા અનુસાર, સમારકામ કરનારા લોકો પણ આ પ્રકારનું સમારકામ અને નવીનીકરણના કામ માટે યોગ્ય ન હતા. પોલીસે 30 ઓક્ટોબરના રોજ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ચાર ઓરેવા ગ્રૂપના છે. ઓરેવા ગ્રૂપ બ્રિટિશકાળથી ઝુલતા પુલની સારસંભાળ કરી રહી છે.
કેબલમાં કાટ લાગ્યો હતો
ફરિયાદી પક્ષે સોમવારે આરોપીની જામીન અરજી પર સુનવણી કરી રહેલા ન્યાયાધીશ પીસી જોશીની કોર્ટમાં આ એફએસએલ રિપોર્ટ રજૂ કર્યો હતો. જિલ્લા સરકારી વકીલ વિજય જાનીએ કહ્યું કે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે કેબલ પર પુલ લટકેલો હતો, તેમાં કાટ લાગેલો હતો. જમીન પર કેબલ જોડનારા એન્કર પિન તૂટી ગયા હતા, જ્યારે કે એન્કર પર લાગેલા બોલ્ડ 3 ઈંચ ઢીલા હતા. કોર્ટ બુધવારે જામીન અરજી પર આદેશ રજૂ કરી શકે છે.
30 ઓક્ટોબરના રોજ 3165 ટિકિટ વેચી હતી
વિજય જાનીએ કોર્ટમાં કહ્યું કે, ઓરેવા ગ્રૂપે 30 ઓક્ટોબરના રોજ 3165 ટિકિટ વેચી હતી. પુલની બંને સાઈડ અને ટિકિટ બુકિંગ ઓફિસ વચ્ચે કોઈ તાલમેલ ન હતો. તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા બુકિંગ ક્લાર્કે ટિકિટ વેચાણ બંધ કરી દેવુ જોઈતુ હતું. પંરતુ તેઓએ ભીડ છતા ટિકિટ વેચવાનુ ચાલુ રાખ્યુ હતું. તેઓએ વધુ લોકોને પુલ પર જવા દીધા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા ગ્રૂપના મેનેજર દીપક પારેખ, દિનેશ દવે, પુલ સમારકામ કરનારા પ્રકાશ પરમાર, દેવ પ્રકાશ સોલ્યુશનના માલિક દેવાંગ પરમાર સામેલ છે. જેઓને ઓરેવા પુલને સમારકામ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા. પુલના સમારકામના ચાર દિવસ બાદ તેને તપાસ કર્યા વગર ખોલી દેવાયો હતો.
વકીલ વિજય જાનીએ કહ્યું કે, દેવ પ્રકાશ સોલ્યુશને સ્વીકાર કર્યો કે, તેઓએ માત્ર સર્ફેસને જ બદલી હતી. એફએસએલના રિપોર્ટ અનુસાર, ધાતના નવા સર્ફેસને કારણે પુલનુ વજન વધી ગયું હતું. આ ઉપરાંત સમારકામ કરનારા ઠેકેદારો પણ તેનુ સમારકામ કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ન હતા. પ્રાથમિક તપાસ અનુસાર, એક કેબલ તૂટ્યા બાદ પુલ પડવાના સમયે ઓછામાં ઓછા 250 લોકો ત્યાં હાજર હતા. રિપોર્ટમાં એ પણ માલૂમ પડ્યું કે, ઓરેવા ગ્રૂપે તેને ખુલ્લો મૂકતા પહેલા તેના ભારવહનની ક્ષમતાની પણ કોઈ તપાસ એક્સપર્ટ એજન્સી પાસેથી કરાવી ન હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડને સુરક્ષા પ્રોટોકલ કે પુલ પર કેટલા લોકોની પરમિશન અપાવવી જોઈએ, તેના વિશે પણ કોઈ સૂચના ન હતી. સરકારી વકીલ વિજય જાનીએ કહ્યું કે, ઓરેવા સુરક્ષા માટે જવાબદાર હુતં, પરંતુ તેઓે દુર્ઘટનાની સ્થિતિમાં લોકોને બચાવવા માટે કોઈ લાઈફગાર્ડ કે બોટની વ્યવસ્થા પણ મૂકી ન હતી.
ફિટનેસ સર્ટિફિકેટ વગર પુલ ખુલ્લો મૂક્યો
પુલને ફરીથી ખુલ્લો મૂકવાના ચાર દિવસ બાદ જ તે તૂટી પડ્યો હતો. કરાર અનસુાર, તેને 8 થી 12 મહિના માટે બંધ રાખવાનો હતો. પરંતુ નગરપાલિકાના કોઈ પણ ફીટનેસ સર્ટિફિકેટ વગર સાત મહિના બાદ તેને ફરીથી ખુલ્લો મૂકાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે