છોટાઉદેપુરઃ નલ સે જલ યોજનાથી રાજ્યના તમામ ઘરે પાણી પહોંચાડવાની યોજનાના 100 ટકા અમલીકરણનો દાવો આજથી કેટલાય વર્ષો પહેલાં કરી દેવામાં આવ્યો હતો.. જોકે, હજુ પણ રાજ્યના એવા કેટલાય ગામો છે જ્યાં નલ સે જલ યોજના હેઠળ નળ તો લાગી ગયા છે.. પરંતુ, ઘર સુધી પાણી પહોંચ્યું નથી.. આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામની હકીકત જાણીએ જ્યાં છેલ્લા 2 વર્ષથી લોકો નળમાં પાણીની રાહ જોઈ રહ્યા છે.. જુઓ આ રિપોર્ટ..
આ દ્રશ્યો એ દાવાને ફગાવી રહ્યા છે જેમાં સરકાર એવો દાવો કરી રહી છેકે, રાજ્યના દરેક ઘરમાં આજે નળથી જળ પહોંચી રહ્યું છે. આ દ્રશ્યો વિકસિત ગુજરાતના દાવાને પણ ફગાવી રહ્યા છે. હકીકતમાં આ દ્રશ્યો ગુજરાતના વિકાસની હકીકત દર્શાવી રહ્યા છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામના જ્યાં બે વર્ષથી લોકો ઘરના નળમાં પાણીની રાહ જોઈ રહ્યા છે.. સરકાર દ્વારા બે વર્ષ પહેલાં પાણીના નળ તો નાખવામાં આવ્યા પરંતુ, કઠણાય એ છેકે, બે વર્ષથી આજદીન સુધી ક્યારેય એકલબારા ગામના ઘરોમાં પાણી નથી આવ્યું.
એકલબારા ગામમાં કુલ 5 જેટલા ફળિયાઓ આવેલા છે તેમાંય માત્ર સરપંચના ફળિયામાં ગણ્યા ગાઠ્યા ઘરોમાં જ પાણી આવે છે.. એકલબારા ગામમાં 2500થી વધુ લોકો રહે છે.. ગામમાં હેન્ડપંપ પણ છે પરંતુ, પાણીના સ્તર નીચી હોવાના કારણે પાણી મળતું નથી.. ચોંકાવનારી વાત તો એ છેકે, તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવ્યું હોવા છતાં પણ લોકો પાસેથી પાણી વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે.
ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી, ગ્રામસભાને જાણ કરવામાં આવી પરંતુ, કોઈ આ સમસ્યાનું સમાધાન લાવી શક્યા નથી.. ZEE 24 કલાકની ટીમ દ્વારા વાસમો વિભાગના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ જણાવ્યું કે, યોજના તો કાર્યરત છે પરંતુ, ઓપરેટર દ્વારા વાલ ન ફેરવાતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે