Patidar Samaj Internal Politics : રાજકોટના જેતપુરથી ધારાસભ્ય અને લેઉવા પાટીદાર સમાજના મોટા આગેવાન જયેશ રાદડિયાએ ભવ્ય સમૂહલગ્નનું આયોજન કર્યું. આ આયોજન તો સામાજિક હતું, પરંતુ તેમાં જયેશ રાદડિયાએ જે ભાષણ આપ્યું તે ભાષણમાં તેમણે જે કહ્યું તે હાલ ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં ટોક ઓફ ટાઉન બન્યું છે. રાદડિયાએ જે અંદાજમાં નામ લીધા વગર પ્રહાર કર્યા તેના કારણે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાટીદાર સમાજના અનેક લોકો રાદડિયાની સમર્થનમાં પણ આવ્યા છે. ત્યારે આખરે એવું તો શું બોલ્યા રાદડિયા?, રાદડિયાનો ઈસારો કોના પર હતો? કોણ આવ્યું સમર્થનમાં? જુઓ આ અહેવાલમાં.
રાજકોટ જિલ્લામાં રાદડિયા પરિવારનું વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે અને આજે પણ છે. જામકંડોરણામાં દર વર્ષે રાદડિયા પરિવાર દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ યોજાયા. પરંતુ આ વખતે લગ્નની સાથે સૌથી વધુ ચર્ચા રાદડિયાના સંબોધનની થઈ રહી છે. રાદડિયાએ સમાજના લોકો વચ્ચે કરેલા સંબોધનમાં ટપોરી ટોળકીની વાત કરી અને એવો આક્ષેપ લગાવ્યો કે હું સમાજનું સારુ કામ કરુ છું તો સમાજના કેટલાક ટપોરી ગેંગના સભ્યો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમુહ લગ્નના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના અનેક આગેવાનો અને રાજનેતાઓ ઉપસ્થિત હતા. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રીઓ પણ હતા. રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કેટલાક લોકો રાજનીતિમાં નથી પરંતુ રાજનીતિ જોરદાર કરે છે, મને પાડી દેવા માટે ચોકઠા ગોઠવે છે. તેમણે સમાજની અંદર રાજનીતિ કરતાં વિરોધીઓને પડકાર ફેંક્યો કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.
જયેશ રાદડિયાના આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ પ્રહાર કરી કોના પર રહ્યા હતા? જાતભાતના નામ આવી રહ્યા છે તેમાં એક નામ નરેશ પટેલનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ રાદડિયાએ પોતાના સંબોધનમાં આ નામ ક્યાંય લીધુ નથી. તેમણે એક પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે. પરંતુ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર વિખવાદ ચાલતો હોવાની વાતો સામે આવતી રહે છે. તેથી કેટલાક લોકોનું માનવું છે કે રાદડિયાએ જે પ્રહાર કર્યા તે નરેશ પટેલ પર હતા. નરેશ પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના મોટા નેતા છે. તો રાદડિયાના પ્રહાર પછી તેમની સમર્થનમાં અનેક પાટીદાર નેતાઓ આવ્યા છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે અમે જયેશભાઈની સાથે છીએ, સરદારધામના જયંતિ સરધારાએ પણ કહ્યું કે, અમે રાદડિયાના સમર્થનમાં છીએ..
રાદડિયાનો ઈશારો કોની તરફ?
તો પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ રાદડિયાને એક પ્લેટફોર્મ પર આવીને ચર્ચા કરવા કહ્યું, તો પાટીદાર અગ્રણી શર્મિલા બામણિયાએ સ્પષ્ટ કહ્યું કે, આ ટપોરી ગેંગને સમાજ ઓળખતો હોવાની વાત કરી. 2017માં જ આ ટપોરી ગેંગ વિશે બોલવું જોઈતું હતું, પરંતુ તે લેટ બોલ્યા છે.
રાદડિયાએ કોઈનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે તેથી સામેની બાજુથી કોઈ મીડિયા સમક્ષ આવ્યું નથી. હવે એ જોવાનું રહેશે કે રાદડિયા ક્યારે ખુલ્લીને તેમના વિરોધીઓનું નામ બોલે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે