ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મામલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં હદ પાર થઈ ગઈ છે. માત્ર અમદાવાદમાં કોરોના (Coronavirus) ના કેસને કારણે ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે છે. આજના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4721 છે. જેમાંથી અમદાવાદ (ahmedabad) ના જ 3293 કેસ છે. આજે ગુજરાતમાં કોરોનાના 326 નવા કેસ આવ્યા છે, જેમાંથી 267 માત્ર અમદાવાદના જ છે. હાલ અમદાવાદીઓ સૌથી વધુ હાઈરિસ્ક પર છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, શહેરમાં સ્થિતિ ગંભીર છે. શહેરીજનોને વિનંતી છે કેસરકારના આદેશનો અમલ કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
જોધપુર વિસ્તારમાં 20 થી વધુ કેસ
અમદાવાદના જોધપુર વિસ્તારમાં 20થી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સ્વામી વિવેકાનંદ નગર સોસાયટીમાંથી 12 જેટલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો મૌલિક ટેનામેન્ટમાંથી 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 20 કોરોનાના દર્દીઓમાંથી મહત્તમ લોકોમાં કોરોના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. નવા નિયમો મુજબ લક્ષણો ન ધરાવતા લોકોને તેમના ઘરોમાં જ રાખીને સારવાર આપવામાં આવે અથવા સમરસ - કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે.
શહેર પોલીસ એક્શન મોડમાં
અમદાવાદમાં કોરોનાને લઈ શહેરમાં સ્થિતિ ગંભીર બની છે. ત્યારે શહેર પોલીસ એકાએક આવી સક્રિય મોડમાં આવી ગઈ છે. લોકડાઉનના અમલ અંગે આજે પોલીસ કમિશનરે જાતે નિરીક્ષણ કર્યું હતુ. પોલીસ કમિશનર આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ આજે શહેરમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. કેટલાક વિસ્તારમાં જેસીપી, ડીસીપી દ્વારા પણ ચેકીંગ કરાયું હતું.
અમદાવાદમાં વતન જવા માંગતી 61000 અરજી આવી
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદના કલેકટરે પણ એક નિવેદનમાં જણાવ્યું કે, પરપ્રાંતીય લોકોને વતન મોકલવા તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. જે લોકો વતન જવા ઈચ્છે છે તેઓ જે તે પ્રાંત કચેરીએ જઈને ઓફલાઇન પણ એપ્લીકેશન કરી શકે છે. સરકાર દ્વારા લોકોને જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિચારણા કરાઈ રહી છે. ટ્રેનની વ્યવસ્થા પણ કરાય તેની વિચારણા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 61000 એપ્લિકેશન આવી છે. જે લોકો પોતાનું વાહન લઈ જવા માંગે છે તેને પણ પરમિશન અપાઇ રહી છે.
રાજ્યમાં જિલ્લા વાઈસ કેસ પર નજર કરીએ તો, હવે ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાના કેસનો આંકડો અમદાવાદમાં 3293, વડોદરામાં 308, સુરતમાં 644 અને રાજકોટમાં 58 કેસ થયા છે. તો ભાવનગરમાં 47, આણંદમાં 74, ગાંધીનગરમાં 49, પાટણમાં 18, ભરૂચમાં 27, નર્મદામાં 12, બનાસકાંઠામાં 29, પંચમહાલમાં 37, છોટાઉદેપુરમાં 13, અરવલ્લીમાં 19, મહેસાણામાં 11, કચ્છમાં 7, બોટાદમાં 21, પોરબંદર, સાબરકાંઠામાં અને ગીર-સોમનાથમાં 3, દાહોદ અને વલસાડમાં 5, ખેડામાં 6, મહીસાગરમાં 17, નવસારીમાં 6, ડાંગમાં 2 કેસ નોંધાયેલા છે. તો મોરબી, જામનગર, તાપી અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે