રાજકોટઃ રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યું છે. આ કર્ફ્યૂનો સમય રાત્રે 9 કલાકથી સવારે 6 કલાકનો છે. આ દરમિયાન લોકો ઘરમાં રહે તે જરૂરી છે. હાલ લગ્નની સીઝન શરૂ થઈ છે પરંતુ રાત્રે કર્ફ્યૂના સમય દરમિયાન લગ્નના આયોજન પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. હવે રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરે નિર્ણય લીધો કે સવારે 6થી રાત્રે 9 કલાક સુધી યોજાતા લગ્ન સમારહો માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી.
ડેપ્યુટી પોલીસ કમિશનરનો મોટો નિર્ણય
રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરે મોટો નિર્ણય લીધો છે. શહેરમાં હવે સવારે છ કલાકથી રાત્રે 9 કલાક સુધી લગ્ન સમારોહનું આયોજન કરવા માટે કોઈ મંજૂરી લેવી પડશે નહીં. મહત્વનું છે કે આ પહેલા સરકારે નિર્ણય કર્યો હતો કે લગ્ન સમારહોનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી જરૂરી છે. કમિશનરે કહ્યુ કે, લગ્નમાં નિયમ પ્રમાણે 100 વ્યક્તિઓને બોલાવી શકાશે. આ સિવાય રાત્રી કર્ફ્યૂમાં લગ્ન સમારહોનું આયોજન કરી શકાશે નહીં.
લગ્નની મંજૂરી માટે પોલીસ સ્ટેશને લાગી લાઇનો
એક તરફ કોરોનાના કેસ વધતા સરકારે ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. તો બીજીતરફ લગ્નની સીઝન પણ શરૂ થઈ છે. સરકારે લગ્ન સમારહો માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપી મંજૂરી લેવાનું કહ્યું હતું. જેથી શહેરોમાં લગ્નની મંજૂરી માટે સવારથી લોકોની લાઇનો લાગી રહી હતી. પોલીસ સ્ટેશન પર લોકોનો ઘસારો જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે