કેતન બગડા/અમરેલી: એરો ફેયર ઇન્ક કોર્પોરેશન નામની કંપની દ્વારા અમરેલી ખાતે નાના વિમાન બનાવવાના પ્રોજેક્ટનું આજે અમરેલીના લાઠી રોડ ઉપર ખાત મુહર્ત કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા હસ્તક ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ નેતાઓ રહ્યા હાજર
અમરેલીમાં આજે પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને શ્રી વલ્લભ કુલભુષણ વૈષ્ણવચાર્યના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, સાંસદ નારણ કાછડીયા, રમેશ ધડુક, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, મહેશ કસવાલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચાર અને છ સીટર વિમાનો બનશે
આ કંપની દ્વારા ફોર સિટર સિક્સ સીટરના નાના વિમાનો બનાવવાનો પ્રોજેકટ એક વર્ષમાં કાર્યરત થઈ જશે અને વાર્ષિક 25 વિમાનોનું પ્રોડક્શન થશે અને દર વર્ષે આ પ્રોડક્શનમાં વધારો થશે. પ્રાથમિક તબક્કે 300 વ્યક્તિઓને રોજગારી મળશે. આ ઉપરાંત અહીંયા વિમાન રીપેરીંગ અને પાર્ટ્સ બનાવવાનું પણ ધીમે ધીમે હાથ ધરવામાં આવશે. તેમજ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પણ ઉભું કરાશે. હાલ આ કંપની દ્વારા વફોડરા ખાતે પાયલોટ ટ્રેનિંગ પ્રોજેકટ કાર્યરત છે અને મોટી સંખ્યામાં ટ્રેનિંગ લઇ રહેલા પાયલોટ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
રોજગારીની તકો વધશે
ગુજરાતના રાજકારણમાં અગ્રેસર પણ વિકાસમાં પછાત ગણાતા અમરેલી જિલ્લાને આ કંપની દ્વારા એક નવી રોજગારીની તક મળી અને પીએમ નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના હેતુને સિદ્ધ કરવા માટે સુદાણી પરિવારે મહેનત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે