મૌલિક ધામેચા/અમદાવાદ :પોલીસ કર્મીઓમાં ફરી એકવાર આત્મહત્યાનો ચકચારી બનાવ બન્યો છે. ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇએ આપઘાત (suicide) કર્યો છે. સલામતી શાખા, ગાંધીનગરના પોલીસ ઈન્સ્પેક્ટર પીજે પટેલે ચિવાલયના આવેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીમાં જ આપઘાત કર્યો છે. મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તેમની આત્મહત્યાથી પોલીસ બેડામા ચર્ચા શરૂ થઈ છે.
સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી
ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં પી આઈ ફરજ બજાવતા પ્રિતેશ પટેલ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. નીડર અને બાહોશ પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા પી.આઈ સ્વર્ણિમ સંકુલ વનમાં સલામતી પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ પોતાની ગાડીમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી.
આત્મહત્યાનું કારણ અકબંધ
મૂળ બાયડના વતની પીજે પટેલ ગાંધીનગરના સરગાસણમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્નીને છોડીને તેઓએ વિદાય લીધી છે. પોલીસ બેડાની મુશ્કેલી કે પરિવારની સમસ્યાને કારણે તેઓએ આત્મહત્યા કરી તે પોલીસ તપાસનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે