અમદાવાદઃ અમદાવાદમાં 29 એપ્રિલથી 30 એપ્રિલ સુધી કોરોના વાયરસનાનવા 249 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કુલ 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે અમદાવાદમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3026 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 149 લોકોના મૃત્યુ થયા તો 412 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ માહિતી આપી હતી.
શહેરમાં આજથી માસ્ક ફરજીયાત
અમદાવાદમાં આજથી ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. વિજય નેહરાએ કહ્યું કે, શહેરમાં 20 હજાર કરતા વધુ માસ્ક અને 4 હજાર કરતા વધુ સેનેટાઇઝરની બોટલનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. નવા નિયમનો અમલ કરાવવા 104 ટીમ કામ કરી રહી છે. મનપાએ આજે માસ્ક ન પહેરનારા 1326 જેટલા વ્યક્તિઓને દંડ ફટકાર્યો છે. કુલ ચાર લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કમિશનરે કહ્યું કે, અત્યાર સુધી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ રેડ ઝોનમાં સામેલ હતા. પરંતુ હવે ગોમતીપુર, સરસપુર અને અસારવા વોર્ડને પણ રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આજથી દુકાનદારો અને ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત છે. જો દુકાનદાર માસ્ક નહીં પહેરે તો રૂપિયા 5 હજાર અને ફેરિયાઓને રૂપિયા 2 હજારનો દંડ ફટકારવામાં આવશે. તો સુપરમર્કેટને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. આજે સવારથી એએમસીની ટીમ ચેકિંગ પણ કરી રહી છે. આ દરમિયાન બોડકદેવમાં એક અમૂલ પાર્લરને સીલ કરી દેવામાં આવ્યું છે.
સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો
વિજય નેહરાએ કહ્યું કે, ફેરિયાઓ અને દુકાનદારોમાં જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત પણ કરવામાં આવી છે. જો કોઈ દુકાનદાર માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નહીં કરે તો તેનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે