Loksabha Election 2024: એક તરફ ક્ષત્રિયોનો રૂપાલા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં સાબરકાંઠામાં પણ ભાજપ બરાબર મુઝવણમાં મુકાયેલું છે. પહેલા સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી, ત્યાર પછી મૂળ કોંગ્રેસી શોભના બારૈયાને ટિકિટ અપાતા આકરો વિરોધ થઈ રહ્યો છે. ડેમેજ કંટ્રોલ માટે ખુદ મુખ્યમંત્રીએ કમાન હાથમાં લેવી પડી છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કદાચ પહેલી વખત આટલો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં આંતરિક વિરોધ ક્યારેય બહાર નથી આવતો પરંતુ પહેલી વખત ભાજપના જ કાર્યકરો ભાજપ સામે હોય તેમ લાગી રહ્યું છે. સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ભાજપે ટિકિટ આપતા વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. અનેક સમજાવટ બાદ પણ ભીખાજી ઠાકોરના સમર્થકો જાણે માનવા તૈયાર જ નથી. ત્યારે વિરોટનો આ જુવાળ શાંત કરવા ખુદ મુખ્યમંત્રીએ કમાન હાથમાં લીધી, અને ગાંધીનગરમાં નારાજ નેતાઓને બોલાવ્યા હતા. બંધ બારણે લાંબા સમય સુધી ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ઈડરના ધારાસભ્ય રમણ વોરા, સાંસદ રમીલાબહેન બારા, સાંસદ દીપસિંહ રાઠોડ, અશ્વિન કોટવાલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને આઈ.બી.ના વડા આર.બી.બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં કોણ રહ્યું હાજર?
સાબરકાંઠામાં તો ભાજપે ઉમેદવાર બદલીને જાણે ભૂલ કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે પહેલા જાહેર કર્યા હતા તે ઉમેદવાર વખતે વિરોધ નહતો તેટલો વિરોધ બીજા ઉમેદવારમાં જોવા મળી રહ્યો છે. તેનું ઉચિત કારણ પણ છે. કારણ કે 2022માં જ કોંગ્રેસમાંથી આવીને કેસરિયો કરનારા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ભાજપે ટિકિટ આપી છે. અને તેથી જ ભાજપના કાર્યકરો આક્રોશિત છે.
મુખ્યમંત્રીએ ખુદ કમાન સંભાળી તે પહેલા ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ સાબરકાંઠા પહોંચ્યા હતા. 29 માર્ચે રાજ્ય સરકારના બે મંત્રીઓ હર્ષ સંઘવી અને ભીખુસિંહ પરમારે જિલ્લા સંગઠન, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. જો કે ચર્ચા શું થઈ તે કંઈ બહાર આવ્યું નથી. હાલ ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે ભાજપે સાબરકાંઠા માટે ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે. આંતરિક વિરોધ એટલો વધી ગયો છે કે ભાજપ ભીખાજી ઠાકોર પછી શોભના બારૈયા અને બારૈયા પછી કોઈ નવા જ ચહેરાને ચૂંટણી લડાવે તો નવાઈ નહીં...જો કે જિલ્લા ભાજપ અધ્યક્ષે આ બેઠકમાં થયેલી ચર્ચા વિશે માત્ર એટલું કહ્યું કે, કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને માર્ગદર્શન આપવા માટે બે મંત્રીઓ આવ્યા હતા.
સાબરકાંઠામાં શું થઈ રહી છે ચર્ચાઓ?
તો જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને એવું પૂછવામાં આવ્યું કે, શું ભાજપ ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું છે તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને આવી કોઈ વાત નથી તેવું કહ્યું. તો ભાજપે જેમને ટિકિટ આપી છે તે શોભના બારૈયા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. અને બાલીસણા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. પરંતુ લોકસભાની ટિકિટ મળતા તેમણે VRS લઈ લીધું છે.
શિક્ષણ વિભાગે પણ સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી દીધી છે. જો ચૂંટણી લડવી હોય તો સરકારી સંસ્થામાં રાજીનામું આપવું પડે છે. તેથી એ જોવાનું રહેશે કે સાબરકાંઠામાં ઉમેદવાર ફરી બદલાય છે કે પછી શોભના બારૈયા જ ચૂંટણી લડશે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે