ગૌરવ દવે/રાજકોટ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 7.6 ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના ખેરગામમાં 5.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદથી નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે અનેક શહેરોમાં લોકોને અનેક સ્થળે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હજુ પણ 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
લોધિકામાં 4.5 ઇંચ વરસાદ
રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.
આ પણ વાંચો : ક્ષમા બિંદુને મળી આત્મવિવાહ કરવાની સજા, લોકોએ મકાન ખાલી કરાવ્યું, વડોદરા પણ છોડ્યું
કાર નદીમા તણાઈ, સ્થાનિક તરવૈયાઓએ 7 લોકોને બચાવ્યા
ત્યારે સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોને બચાવવા મોટી મદદ કરી હતી. ગામના લોકોએ કારમાંથી 7 લોકોને દિલધડક રીતે બહાર કાઢીને બચાવ કર્યો હતો. ગામના તરવૈયાઓ જાનના જોખમે નદીમાં કૂદી પડ્યા હતા. તમામ સાતેય લોકોને દોરડા વડે ખેંચીને બહાર કઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂનો વીડિયો પણ સામે આવ્યો છે. આમ, લોધિકા પંથકમાં 4.5 ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું હતું.
આ પણ વાંચો : સુતરીયા પરિવારના એક નિર્ણયે પાંચની જિંદગી બચાવી, અકસ્માતમાં માતાના મોત બાદ અંગદાન કર્યું
વરસાદી પાણીના ખાડામાં બે સગા ભાઈના મોત
તો બીજી તરફ, રાજકોટમાં વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડતા બે બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે બપોરે માતા-પિતા કડિયા કામ કરતા હતા, બંને સાઇટ પરથી નીકળી ગયા હતા. તેથી તેમના બે બાળકો 5 વર્ષનો અર્જુન અને 9 વર્ષનો અશ્વીન ઘરમાથી નીકળીને વરસાદી પાણીમા ન્હાવા પડ્યા હતા. માતાપિતા સાંજે ઘરે આવ્યા તો ઘરમાં બાળકો ન હતા. બાળકોની શોધખોળ બાદ પણ તેઓ સાંજે પરત ન ફરતા પોલીસને જાણ કરાઈ હતી. ભારે શોધખોળ કરતા બંને બાળકોના મૃતદેહ વરસાદી પાણીના ખાડામાંથી મળ્યા હતી.
તો બીજી તરફ, બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે પડેલ 5 ઇંચ વરસાદથી બે કાચા મકાન ધરાશાયી થયા હતા. બેકારી કુવા વ્હોળા વિસ્તારમાં બે કાચા પતરાવાળા મકાન ધરાશયી થતા મકાન માલિકોને ભારે નુકસાન થયુ હતું. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે