અમદાવાદ :2020ની દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિન (Republic Day 2020) ની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવ (Rani ki Vav) ની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની દિલ્હીની પરેડમાં ગુજરાતની પુરાતત્વીય અને સાંસ્કૃતિક વિરાસત ભારે શાન સાથે રજૂ કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત તરફથી રાણીની વાવની ઝાંખીનું પ્રદર્શન કરવામા આવ્યું હતું. જેમાં પાણીનું મહત્વ બતાવવામાં આવ્યું હતું. પાટણની વાવનું દ્રશ્ય ઉભુ કરાયું હતું, અને તેમાં પટોળાની સાડી પહેરેલી એક મહિલાની મૂર્તિ આગળ હતી. ગુજરાતનો ટેબ્લો આવતા જ લોકોમાં ભારે જુસ્સો જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના સૂચના વિભાગમાં વરિષ્ઠ અધિકારી તરીકે કાર્યરત પંકજ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતની આ ઝાંખી દિલ્હી પહોંચી હતી.
યુનેસ્કોની વૈશ્વિક ધરોહરમાં સામેલ છે રાણીની વાવ
ઉલ્લેખનીય છે કે, 2014માં UNESCOએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી. વિશ્વભરમાં ગુજરાતને પ્રખ્યાત બનાવવામાં આ વાવનો મોટો ફાળો છે. રાણી ઉદ્યમતીએ 11મી શતાબ્દીમાં પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં આ વાવ બનાવડાવી હતી. આ વાવને નિહાળવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવતા રહે છે. રાજ્ય સરકાર દ્વારા તેની ખાસ સારસંભાળ રાખવામાં આવે છે.
ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિવિધ વિભાગો અને રાજ્યો તરફથી ઝાંખીઓના પ્રદર્શન માટે આ વર્ષે રક્ષા મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા. તેમાંથી મંત્રાલયે 22 ઝાંખીઓની પસંદગી કરી હતી. તેમાઁથી 16 ઝાંખી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હતી. તો 6 ઝાંખી મંત્રાલય, લિભાગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી રજૂ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે