રવિ અગ્રવાલ/વડોદરા: મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા શિવ પરિવારને સુવર્ણ મઢિત કરવામાં આવ્યો છે. આ સુવર્ણ મઢિત શિવ પરિવારની પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની ‘શિવજી કી સવારી’ નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે.
સત્યમ, શિવમ્ સુંદરમ્ સમિતીના પ્રમુખ અને ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 4 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે નંદી પર સવાર મહાદેવ, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિક, નારદજીની નગર યાત્રા પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળશે. અને ‘શિવજી કી સવારી’ સયાજી હોસ્પિટલ બહાર આવેલા કૈલાસપુરી ખાતે સંપન્ન થશે. ત્યારબાદ શિવ પરિવાર કલાલી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન થવા પ્રસ્થાન કરશે.
મહાશિવરાત્રી પૂર્વે જાણીતા કલાકારોની ભજન સંધ્યાનો શિવોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ગાયક ઓસમાણ મીરની,ગીતા રબારીની , બ્રિજરાજ ગઢવી અને દિપક જોષીની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તા.2-3-019ના રોજ રાત્રે 8 કલાકે પોલોગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુરીઝમ અને મહાનગરપાલિકા દ્વારા જાણીતા ગાયક કૈલાસ ખેરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રિ નિમીત્તે તા.28-2-19 થી તા.9-3-2019 દરમિયાન નવલખી મેદાન ખાતે શિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં હસ્તકલા, હાથશાળ તેમજ ખાદી ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓના 300 સ્ટોલ તેમજ ફૂડ સ્ટોલ રાખવામાં આવશે. આ ઉપરાંત નગરજનો અને તેમના બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે